Site icon Revoi.in

વાવાઝોડા બાદ 9900 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયોઃ હજુ 450 ગામોમાં અંધારપટ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા. સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને 9900 ગામમાં વીજ પુરવઠો પુન:કાર્યરત કરાયો છે, પણ અઠવાડિયાનો સમય વીતી ગયા પછી પણ 450 ગામમાં હજુ અંધારપટ છવાયેલો છે. હાલ વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે. અને બને એટલી વહેલી ત્વરાએ 450 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવાશે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. કે, 2.25 લાખ અસરગ્રસ્ત લોકોને રૂ. 10 કરોડ રોજગારીના નુકસાની પેટે ચૂકવાયા છે. ઉપરાંત 16.42 લાખ આંબા, નારિયેળી સહિતનાં બાગાયતી વૃક્ષને નુકસાન થયું છે. 33 ટકાથી વધુ નુકસાન થયું છે એવાં મકાનો માટે વળતર ચૂકવવાનું શરૂ કરાયું છે. 17થી 18 મે દરમિયાન 24થી 26 કલાક દરમિયાન 60થી લઇને 220 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં મોટે પાયે મકાનો, ઘરવખરી, સરકારી સંશાધનો, કૃષિ-બાગાયતી પાક, રોડ-રસ્તાને નુકસાન થયું હતું. વાવાઝોડાથી અસરગ્રસ્ત 2.25 લાખ લોકોને 10 કરોડની રોકડ રકમ રોજગારી પેટે 7 દિવસની ચૂકવાઈ છે. ઘરવખરી ગુમાવનાર 15 હજાર પરિવારને 7 હજાર ઘરવખરી પેટે ચૂકવાયા છે, બાકીનાને આગામી રવિવાર સુધીમાં ચૂકવાઈ જશે.

રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વોટર વર્ક્સના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ વાવાઝોડને પરિણામે રાજ્યની 295 કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠાને અસર પડી હતી, તેમાંથી 291માં તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કર્યો છે, બાકીની 4 હોસ્પિટલમાં બાકી છે. રાજ્યના 3205 પૈકી 3057 જેટલા અસરગ્રસ્ત મોબાઇલ ટાવરને પુન:કાર્યરત કરાયા છે. 66 કે.વી.નાં 219, 132 કે.વી.નાં 5 અને 220 કે.વી.નાં 6 સબસ્ટેશનોને પૂર્વવત કરવા મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓને તહેનાત કરાયા છે. 220 કે.વી. લાઇનના 277 ટાવર, 66 કેવી લાઇનના 74 ટાવર અને 308 ડબલ પોલ સ્ટ્રક્ચર અને 132 કેવી લાઇનના 2 ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. કુલ 1,16,228 જેટલા વીજ થાંભલા, 45039 જેટલાં ટ્રાન્સફોર્મર અને કુલ 23,893 કિ.મી.ની વીજલાઇન ક્ષતિગ્રસ્ત થઇ છે, જેનું સમારકામ ચાલી રહ્યું છે.