Site icon Revoi.in

કોરોનાને લીધે લીંબુ, મોસંબી, સંતરા અને લીલા નાળિયરના ભાવ આસમાને પહોંચ્યા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. એનો ભાવ હવે 140થી 170 સુધી થઈ ગયા છે. આ ઉપરાંત એક લીલા નાળિયરના ભાવ રૂપિયા 80 બોલાય રહ્યા છે.

કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા લોકો લીંબુ, મોસંબી, અને સંતરા તેમજ લીલી નાળિયેરના ટ્રોફા ખરીદી રહ્યા છે. આથી કોરોનાની મહામારીમાં વિટામિન-સીની ઊણપ દૂર કરતા એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રુટ્સના ભાવોમાં વધારો થઇ ગયો છે. કોરોનાની મહામારીમાં લોકો લીંબુનો રસ, મોસંબીનો રસ અને સંતરાંનો રસ, વધુ પ્રમાણમાં પી રહ્યા છે. પરિણામે, આ તમામ ફ્રૂટ્સની માગમાં વધારો થયો છે.

વેપારીએ એસોસિયેશનના અગ્રણીના કહેવા મુજબ ઉનાળામાં લીંબુની માગ રહે છે, જેને કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની આવક ઓછી હોય છે. આ વખતે લીંબુની આવક કરતાં માગ વધુ હોવાને કારણે ભાવ વધી ગયા છે. એ જ રીતે વિટામિન-સીની ઊણપ દૂર કરતાં મોસંબી અને સંતરાંની માગમાં પણ વધારો થયો હોવાથી એના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 40થી 50 હોય છે. એને બદલે આ વખતે લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 130થી 150 જેટલો થઈ ગયો છે. તે જ રીતે મોસંબી અને સંતરાંનો ભાવ પણ ડબલ થઈ ગયો છે, એટલે કે 140થી 160માં પ્રતિકિલો વેચાઈ રહ્યાં છે. આ ભાવ આવનારા એક માસ સુધી રહે એવી શક્યતાઓ છે.

કોરોનાની મહામારીને કારણે લીંબુ અને સંતરાં જેવાં વિટામિન- સી પૂરું પાડતાં ફળોના ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે. ઉનાળાની ઋતુમાં લીંબુ, સંતરાં, મોસંબીની આવક ઓછી હોય છે, તેની સામે કોરોનાને કારણે માગમાં વધારો થઈ જતાં ભાવ ડબલ થઇ ગયા છે. આ ભાવવધારો જ્યાં સુધી લીંબુ, સંતરાં, મોસંબીની આવક વધે નહીં ત્યાં સુધી રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત લીલા નાળિયરના ભાવ પણ 80 રૂપિયા થયા છે. કોરોનાથી બચવા લોકો વધુ રૂપિયા ખર્ચીને પણ વિટામિન-સી યુક્ત ફળો ખરીદી રહ્યા છે.