Site icon Revoi.in

રાજસ્થાનઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રકની ગમખ્વાર અકસ્માતમાં 8 ના મોત

Social Share

જયપુર, 1 જુલાઈ 2026: રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક સ્લીપર બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 8 લોકોના કરૂણ મોત થયા છે, જેમાં 6 લોકો જીવતા ભૂંજાયા હતા, જ્યારે 2 લોકોના માથામાં ગંભીર ઈજા થવાથી મોત થયા હતા.

પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રાત્રે 2.30 વાગ્યાની આસપાસ કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના તનાવડ નજીક થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મિનિટોમાં જ બંને વાહનો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. બસમાં લાગેલી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.

આ અકસ્માત બાદ બે મોટા વિવાદો સામે આવ્યા છે.  સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે બસના લગેજ કમ્પાર્ટમેન્ટમાં સિગારેટના કાર્ટન ભરેલા હતા, જેને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.  અકસ્માત બાદ સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ઘણી મોડી પહોંચી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યાં સુધીમાં તો બસ સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં 21 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને દૌસા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં એક્સપ્રેસવે પર ટ્રાફિક પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને પોલીસ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે, જેમાં બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હોવાની શક્યતા પણ તપાસાઈ રહી છે.

Exit mobile version