Site icon Revoi.in

રાજસ્થાન જેલ વિભાગનો નિર્ણય: મુસ્લિમ કેદીઓને બહારથી ઈફ્તાર કે સહેરીનું ભોજન આપવા પર પ્રતિબંધ

Social Share

જયપુર, 23 ફેબ્રુઆરી 2026: રાજસ્થાનના જેલ વિભાગે રમઝાનના પવિત્ર માસ પૂર્વે એક ચોંકાવનારો આદેશ જારી કર્યો છે. નવા નિયમ મુજબ, જેલમાં બંધ મુસ્લિમ કેદીઓ માટે બહારની વ્યક્તિઓ કે ધાર્મિક સંસ્થાઓ હવે સીધું ઈફ્તાર અથવા સહેરીનું ભોજન આપી શકશે નહીં. જેલ હેડક્વાર્ટર દ્વારા ૧૭ ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રમઝાનને લગતો તમામ સામાન માત્ર અધિકૃત ‘જેલ કન્ઝ્યુમર સ્ટોર’ પરથી જ ખરીદવો પડશે અને ત્યાંથી જ તેનું વિતરણ કરવામાં આવશે.

અત્યાર સુધી પરંપરાગત રીતે વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો રોઝા રાખતા કેદીઓને ફળ, ખજૂર અને પેકેજ્ડ ફૂડ આપતા હતા. જોકે, નવા આદેશ બાદ અનેક સંગઠનોને જેલના દરવાજેથી પરત મોકલી દેવામાં આવ્યા છે. હવે જો કોઈ દાતા ભોજન આપવા માંગતા હોય, તો તેમણે જેલના કન્ઝ્યુમર સ્ટોર પર ઓર્ડર આપી સીધું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટોર સામાન ખરીદશે અને જેલ વહીવટીતંત્ર દ્વારા તે કેદીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ નિયમ રાજસ્થાનની તમામ સેન્ટ્રલ, ડિસ્ટ્રિક્ટ, સબ-જેલ અને મહિલા સુધારગૃહ સહિત તમામ જેલોમાં લાગુ પડશે.

આ મામલે ડાયરેક્ટર જનરલ (જેલ) અશોક રાઠોડે જણાવ્યું હતું કે, “આ નિર્ણય પ્રવર્તમાન નિયમો મુજબ જ લેવામાં આવ્યો છે. સુરક્ષા અને સલામતીના દૃષ્ટિકોણથી બહારથી આવતા ખોરાક પર સંપૂર્ણ ભરોસો મૂકી શકાય નહીં. બહારના ખોરાક પર હંમેશા નિયંત્રણો હોય જ છે.” તેમણે ઉમેર્યું કે દાતાઓ હજુ પણ જેલના નિર્ધારિત સ્ટોર દ્વારા ભોજનની વ્યવસ્થા કરી શકે છે.

પોષણ અને પસંદગીના અધિકાર પર સવાલ જેલ વિભાગના આ નિર્ણય સામે મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓએ ભારે ચિંતા વ્યક્ત કરી છે. જમીત-ઉલ-કુરૈશના વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસ કુરૈશીએ જણાવ્યું કે, “ઈફ્તાર પેકેટમાં ફળ, ખજૂર અને ખાસ પીણાંની વેરાયટી હોય છે, જેની નકલ જેલના ડિપાર્ટમેન્ટલ સ્ટોર દ્વારા કરવી મુશ્કેલ છે.”

બીજી તરફ, પ્રોગ્રેસિવ મુસ્લિમ એલાયન્સના પ્રેસિડેન્ટ અબ્દુલ સલામ જૌહરે કહ્યું કે, “૧૩ થી ૧૫ કલાકના લાંબા રોઝા બાદ શરીરને ખાસ પોષક તત્વોની જરૂર હોય છે, જે જેલના સ્ટોરના સામાનમાંથી મળવા મુશ્કેલ છે.” સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે જેલ સ્ટોરમાંથી જ ખરીદી કરવાની શરત એ ‘રાઈટ ટુ ચોઈસ’ (પસંદગીના અધિકાર)નું ઉલ્લંઘન છે. રાજસ્થાનમાં ૮ સેન્ટ્રલ જેલ અને ૨૮ જિલ્લા જેલ સહિત અનેક જેલોમાં હજારો કેદીઓ રોઝા રાખતા હોય છે, ત્યારે આ નવા નિયમે એક નવો વિવાદ છેડ્યો છે.

(Photo-File)

આ પણ વાંચોઃ JNU ફરી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મધરાતે પથ્થરમારો અને હિંસક અથડામણ, 14થી વધુ છાત્રો ઘાયલ

Exit mobile version