Site icon Revoi.in

પંડિત દીનદયાળ પુણ્યતિથિ: ભાજપનો સમર્પણ સંકલ્પ કાર્યક્રમ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમામ ઉમેદવારોએ સંકલ્પ કર્યા ગ્રહણ

Social Share

અમદાવાદ: આજે પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા તેમજ અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે ત્યારે તેમની પુણ્યતિથિ નિમિત્તે કર્ણાવતી મહાનગર ખાતે ભાજપનો સમર્પણ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. આ સમર્પણ સંકલ્પ કાર્યક્રમમાં ડિજીટલ માધ્યમથી સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ જોડાયા હતા.

આ સમર્પણ સંકલ્પ કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સૌ ઉપસ્થિત કર્ણાવતી મહાનગરપાલિકાના તમામ 192 ઉમેદવારઓ, સંગઠનના પદાધિકારીઓ, ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને સમર્પણનો સંકલ્પ લેવડાવ્યો હતો. તમામ જીલ્લા, મહાનગર તાલુકા સ્તરે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સૌને સંકલ્પ લેવડાવ્યા હતા.

ભાજપા દ્વારા સમર્પણ દિવસના ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત સંબોધન આપતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ સંદેશનું વાંચન કરતા જણાવ્યું કે “એકાત્મક માનવવાદ, ‘સર્વજન હિતાય-સર્વજન સુખાય’ની પંડીત દિનદયાળજીની વિભાવનાને આપણા કતૃત્વ દ્વારા સાકાર કરીએ.”

આજના આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે “કાર્યકર્તા, પેજકમિટી, પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભાજપામાં છે. ભાજપા એ કોઇ પરિવારની નહીં પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે. બૂથનો ઇન્ચાર્જ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે તેવી વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. સાદું જીવન, ઉચ્ચ વિચાર તેમજ નૈતિકતાના આધારે ચાલતી અને દેશ માટે જ જીવવા અને દેશ માટે જ કુરબાની આપવાની ભાવના ભાજપાના કાર્યકર્તાઓમાં રહેલી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “અતૂટ રાષ્ટ્રવાદ થકી સાંસ્કૃતિક ધરોહરની જાળવણી અને વિવિધતામાં એકતા થકી “એક રાષ્ટ્ર- શ્રેષ્ઠ રાષ્ટ્ર”નું નિર્માણ એજ ભાજપાનો સંકલ્પ છે. મૂલ્યનિષ્ઠ રાજનીતિ સાથેની પંચનિષ્ઠા સાથે ચાલનાર ભાજપા દેશને એક ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે કટિબદ્વ છે. સર્વ ધર્મ સમભાવ એ ભાજપાના રાષ્ટ્રનીતિનો મૂળભૂત આધાર છે.”

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રસંગે ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે “દરેક ઘર સુધી દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો અને કાર્યો પહોંચાડીને આપણે સૌ સાચી શ્રદ્વાંજલિ અર્પણ કરીએ. ગરીબોના ઘર સુધી સુખ-સમૃદ્વિ-શિક્ષણ અને આરોગ્યનો દિપક પહોંચે તેવા વિચારો સાથે ભાજપાનો કાર્યકર્તા દિનરાત કાર્ય કરે છે. 6 કરોડ 30 લાખ ગરવા ગુજરાતીઓ અડીખમ રહીને ગુજરાતના વિકાસની ધ્વજપતાકા સમગ્ર દેશ અને દુનિયામાં ફરકાવી રહ્યા છે.”

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર વિકાસને લઇને તેમણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાનના મતવિસ્તાર એવા મણિનગર કાંકરિયાનું એક આગોતરું મહત્વ છે. મત વિસ્તારનો વિકાસ, શહેરનો વિકાસ, રાજ્યનો વિકાસ અને હવે રાષ્ટ્રનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઇ રહ્યો છે.  આજે આ ઐતિહાસિક સ્થળે પંડીત દીનદયાળજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી આપણે સૌ એક સેવાનો સંકલ્પ લઇને પ્રજાની વચ્ચે સેવા માટે જઇ રહ્યા છીએ.”

સ્વાગત પ્રવચન આપતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ અને કર્ણાવતી મહાનગરના પ્રભારી આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે “પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ દેશની રાજનીતિમાં અંત્યોદયની ભાવના અને એકાત્મ માનવવાદના સિદ્વાંત સાથે નવી દિશા અર્પણ કરી છે. ભાજપા એ વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે.”

તે ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓ અને આગેવાનોએ ડિજીટલ એલ.ઇ.ડી રથનું વિધિવત પ્રસ્થાન કરાવીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

(સંકેત)