Site icon Revoi.in

6 મનપાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપ કરશે ઉજવણી, ખાનપુર કાર્યાલય ખાતે યોજાશે અભિવાદન સમારોહ

Social Share

અમદાવાદ: આજનો દિવસ ભાજપ માટે વિજયનો દિવસ છે. રાજ્યની તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઇ છે અને ભાજપનો ભગવો ચૌતરફ લહેરાયો છે. મનપાની ચૂંટણીમાં બીજી તરફ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપે આ ભવ્ય વિજય બાદ હવે જશ્નની શરૂઆત કરી દીધી છે.

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપના કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને તે જ દિશામાં વિજય બદલ આજે સાંજે 7 વાગ્યે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તેઓ કાર્યકરોને સંબોધિત પણ કરશે.

આ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહીને જનતા જનાર્દનના ભાજપ પર સંપૂર્ણ વિશ્વાસ માટે પ્રજાનો આભાર દર્શન કરશે.

ભાજપની 6 મનપાની ચૂંટણીમાં ભવ્ય જીત બદલ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, “સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં”.

(સંકેત)