Site icon Revoi.in

લોર્ડ્સમાં રોહિત શર્માએ સદી ફટકારી આલોચકોને સણસણતો જવાબ આપ્યો, નિવૃત્તિની અફવાઓ ફગાવી

Social Share

લંડન, 20 જુલાઈ 2026: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર સદી ફટકારીને પોતાના આલોચકોના મોં બંધ કરી દીધા છે. વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મૂકતાં રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે તેનો હાલમાં નિવૃત્ત થવાનો કોઈ ઈરાદો નથી. આ સાથે જ તે લોર્ડ્સના મેદાન પર વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલાં મીડિયામાં અને સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે લોર્ડ્સ ખાતે રમાનારી આ મેચ રોહિત શર્માની કારકિર્દીની છેલ્લી વનડે હોઈ શકે છે. જોકે, ભારતીય કેપ્ટને મેદાન પર પોતાના બેટથી આક્રમક ઇનિંગ્સ રમીને આ તમામ અફવાઓનો અંત આણ્યો હતો. ઉલ્લેખનીય છે કે મેચ પહેલાં બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે નિવૃત્તિના અહેવાલોમાં કોઈ સત્ય નથી.

‘બહારનો શોર ચાલતો રહેશે, મારું કામ રન બનાવવાનું છે’

મેચ બાદ બીસીસીઆઈને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે, “મારું કામ મેદાન પર જઈને રન બનાવવાનું અને દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. મેં જ્યારે ડેબ્યૂ કર્યું હતું ત્યારથી આ જ કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ. જ્યારે તમે રમો છો ત્યારે બહારનો શોર (આલોચના) હંમેશા રહેશે. જો આ શોર નહીં હોય તો રમવાની મજા પણ નહીં આવે. આલોચકોનું કામ બહાર બોલવાનું છે અને મારું કામ મેદાનની અંદર પ્રદર્શન કરવાનું છે.”

મેચમાં પોતાની સદી છતાં ભારતનો ૩ મેચની વનડે સિરીઝમાં 1-2થી પરાજય થયો હતો. આ અંગે રોહિતે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, “અમે ૨૦-૨૫ રન ઓછા બનાવ્યા હતા. અમારી બોલિંગ લાઇન-અપમાં યુવાન ખેલાડીઓ છે જેમને વધુ અનુભવની જરૂર છે.” વિરાટ કોહલી સાથે બીજા વિકેટ માટે થયેલી શાનદાર શતકીય ભાગીદારી અંગે વાત કરતા રોહિતે ઉમેર્યું હતું કે, “વિરાટ સાથે બેટિંગ કરવાની હંમેશા મજા આવે છે, અમે એકબીજાની રમતને ખૂબ સારી રીતે સમજીએ છીએ.”

Exit mobile version