Site icon Revoi.in

આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પેપરની અછતને પગલે સ્કૂલની પરીક્ષાઓ રદ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારી અને આર્થિક સંકટને કારણે સ્થિતિ સ્ફોટક બની છે. એક તરફ બેરોજગારી ચરમસીમાએ છે અને બીજી તરફ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે તરસી રહ્યાં છે. છેલ્લા લગભગ એક વર્ષથી ગંભીર સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ હવે એટલી ખરાબ થઈ ગઈ છે કે પેટ્રોલ માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યાં છે. દરમિયાન પેટ્રોલ માટે લાઈનમાં ઉભેલા બે લોકોના મોત થયા છે. શ્રીલંકામાં ઈંધણના ભાવ આસમાને છે અને તેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. બીજી તરફ પેપરની અછતના કારણે સ્કૂલોમાં પરીક્ષા પણ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કોલંબોમાં પોલીસ પ્રવક્તા નલિન થલાડુવાએ જણાવ્યું હતું કે બંને પીડિતોની ઉંમર લગભગ 70 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળે છે. બંને અલગ-અલગ સ્થળો ઉપર પેટ્રોલ અને કેરોસીન લેવા માટે લાઈનમાં ઉભા હતા. કેટલાક અઠવાડિયાથી, સ્થિતિ એટલી ખરાબ છે કે પેટ્રોલ પંપ થોડા કલાકો માટે જ ખુલે છે અને લોકો તેને મેળવવા માટે કલાકો પહેલાં કતારમાં ઉભા રહે છે. આ ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે. ઘણા સમયથી પાવર કટની સ્થિતિ છે. વીજળી માત્ર આવશ્યક સેવાઓ માટે ઉપલબ્ધ છે.

ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામનાર એક વ્યક્તિ રિક્ષા ચાલક હતો. આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે કારણ કે દેશની એકમાત્ર ઓઇલ રિફાઇનરીનું કામ અટકી ગયું છે. એટલું જ નહીં એલપીજીની પણ અછત છે. શ્રીલંકામાં હાલ 12 કિલોનો LPG સિલિન્ડર 1,359 રૂપિયામાં મળી રહ્યો છે.

મોટી સંખ્યામાં લોકોને હવે માત્ર કેરોસીનથી જ ભોજન બનાવવા મજબુર બન્યાં છે. એટલું જ નહીં કેરોસીન લેવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવુ પડે છે. દેશમાં પ્રવર્તી રહેલા સંકટની અસર વિદ્યાર્થીઓ પર પણ જોવા મળી રહી છે. દેશમાં પેપરની અછતને કારણે વિદ્યાર્થીઓની શાળાકીય પરીક્ષાઓ રદ કરવી પડી હતી.

શ્રીલંકા તેની જરૂરિયાતો માટે કાગળની આયાત કરે છે અને ડૉલરની અછતને કારણે તે તેની આયાત કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં તેમની સામે માત્ર પરીક્ષાઓ રદ કરવાનો જ રસ્તો હતો. શિક્ષણ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે દેશમાં શાળાની પરીક્ષાઓ સોમવારથી યોજાવાની હતી, પરંતુ પેપરની અછતને કારણે તે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

(Photo-file)