Site icon Revoi.in

ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી, બીજીબાજુ એકમ કસોટીની જાહેરાત

Social Share

અમદાવાદઃ સરકાર દ્વારા ભણશે ગુજરાતના નારાં તો અપાય છે પણ પાઠ્ય પુસ્તક મંડળની નિષ્ક્રિયતાને કારણે હજુ સુધી ઘણીબધી શાળાઓને ધો.9થી12ના પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. આથી ધોરણ 9થી 12ના હજારો વિદ્યાર્થીઓ સંકટમાં મૂકાયા છે. કારણ કે, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું તેને ત્રણ મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તેમને હજી પણ પાઠ્યપુસ્તકો મળ્યા નથી. આ બાબત ત્યારે સૌથી વધુ ચિંતાજનક બની છે જ્યારે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે  18મી ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી આ વિદ્યાર્થીઓ માટે યૂનિટ ટેસ્ટ યોજવાની જાહેરાત કરી છે.

અમદાવાદ અને વડોદરાની ઘણી સ્કૂલોએ આ મુદ્દે ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સબૂક્સને પત્ર લખ્યો છે અને તેઓ જવાબની રાહ જોઈ રહ્યા છે, તેમ એક શિક્ષણ નિષ્ણાતે જણાવ્યું હતું. જો વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તકો જ નહીં હોય તો તેઓ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકશે, તેમ અમદાવાદની એક સ્કૂલના ટ્રસ્ટીએ કહ્યું હતું. જુલાઈ મહિનામાં, રાજ્યની લગભગ 30 હજાર સ્કૂલોએ ધોરણ 6થી 8 માટે સામાજિક અભ્યાસનું પેપર રદ્દ કરવાની ફરજ પડી હતી, કારણ કે રાજ્ય શિક્ષણ વિભાગ તેમને પાઠ્યપુસ્તક પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હતું. આ વખતે પણ જો સરકાર સમયસર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો આવી જ સ્થિતિ ઉભી થવાની શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

શિક્ષણ વિભાગે ભૂતકાળમાં દાવો કર્યો હતો કે, કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવશે. જો કે, તેવી જાણ થઈ શકે છે વહીવટી તંત્ર સ્કૂલ સુધી પણ પુસ્તકો પહોંચાડવામાં અસમર્થ છે. ઓક્ટોબરમાં યોજાનારી એકમ કસોટી માટે, GSHSEB દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે. સ્કૂલોએ તે મુજબ અને બોર્ડ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. પહેલી પરીક્ષામાં ધોરણ 9થી ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 20 ગુણના ઓબ્જેક્ટિવ પ્રશ્નો અને 80 માર્ક્સના વર્ણનાત્મક પ્રશ્નો હશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કિસ્સામાં 50 માર્ક્સના MCQ અને 50 માર્ક્સના વર્ણનાત્મક પ્રશ્નો હશે.