Site icon Revoi.in

ધો. 9થી 11ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓ હરખભેર સ્કુલે પહોચ્યા, મિત્રોને મળીને આનંદ વ્યક્ત કર્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ક્રમશઃ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી રહી છે. ધોરણ 12 બાદ હવે આજે સોમવારથી ધોરણ 9થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ પોતાના સહાધ્યાય મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સેનિટાઈઝર અને થર્મલગનથી ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 50 ટકા કેપેસિટીને કારણે આજથી વિદ્યાર્થીઓને ઓડ-ઈવન પદ્ધતિથી ભણવું પડશે.

અમદાવાદ શહેરમાં આવેલી સીએન વિદ્યાલય, શારદા મંદિર, દિવાન બલ્લુભાઈ સહિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પહોંચ્યા હતા. લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતી હોવાને કારણે વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળ્યા હતા. વિદ્યાર્થીઓને તેમના મિત્રોને મળવાની ખુશી સૌથી વધુ જોવા મળી હતી. બીજી બાજુ, લાંબા સમયબાદ વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓને રૂબરૂ ભણાવવા મળતાં શિક્ષકો પણ આનંદમાં જોવા મળ્યા હતા. સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પણ પાલન કરાવવામાં આવ્યું હતું. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 2 અલગ અલગ રિસેસ રાખવામાં આવી હતી., જેથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકસાથે ભેગા ના થાય. આજે પ્રથમ દિવસ હોવા છતાં રાબેતા મુજબ સ્કૂલ ચાલુ જ રહેશે. ચિરાગ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડતી હતી, પરંતુ ઓફલાઈન વધુ અનુકૂળ આવે છે. ઓફલાઈન શિક્ષણમાં અભ્યાસ સારી રીતે થઈ શકે છે અને સારી રીતે સમજી શકાય છે. મિત્રો મળ્યા એની ખુશી છે. ઘણા દિવસો બાદ એકબીજાને મળ્યા છીએ, હવે અભ્યાસમાં કંઈ સમજાય નહીં તો એકબીજાની મદદ લઈ શકીશું અને સાથે ભણીશું. જાનવી નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું એ અમારી સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું, પરંતુ આજથી ઓફલાઈન ચાલુ થયું એમાં મજા આવશે. ઓફલાઈનમાં કોઈ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછી શકીએ છીએ. મિત્રો પણ લાંબા સમય બાદ મળ્યા, સ્કૂલમાં સાથે ભણવામાં પણ મજા આવશે.

શાળાના એક આચાર્યએ જણાવ્યું હતું કે ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. આજથી સ્કૂલ શરૂ થઈ છે ત્યારે અભ્યાસમાં કઈ મુશ્કેલી ન થાય એ માટે વિદ્યાર્થીઓ માટે ઓડ-ઈવન સિસ્ટમ રાખી છે, જેમાં 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગમાં સોમ, બુધ, શુક્ર તથા 9 અને 11ના વર્ગ મંગળ, ગુરુ અને શનિ ચાલુ રહેશે. પ્રથમ દિવસ હોવા છતાં 95 ટકા વિદ્યાર્થીઓના સંમતિપત્ર મેળવવામાં આવ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓને સેનિટાઈઝર તથા થર્મલગનથી સ્ક્રીનિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે.
કોરોનાને કારણે વર્ગમાં કેપેસિટી સાથે જ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે ધોરણ 12ના વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. હવે આજથી ધોરણ 9થી 11નાં બાળકોને પણ 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવશે, જ્યારે અન્ય 50 ટકાને બીજા દિવસે બોલાવવામાં આવે છે, એટલે કે એક વિદ્યાર્થી જે દિવસે આવે તેના બીજા દિવસે વિદ્યાર્થીને આવવાનું રહેતું નથી. બીજા દિવસે અન્ય વિદ્યાર્થીઓ આવે છે, જે બાદ ત્રીજા દિવસે ફરીથી પહેલા દિવસે આવેલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આમ, ઓડ-ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને આ પદ્ધતિથી જ 9થી 11ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.