Site icon Revoi.in

ચંદ્રયાન-૩ની સફળતા ભારતની દરેક ક્ષેત્રે ક્ષમતા બતાવે છે: કનુભાઇ દેસાઈ

Social Share

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતે ગ્રામ પંચાયતની સુવર્ણ જયંતી નિમિત્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. 78 લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું હતું. સરકારના 15માં નાણાપંચ ( જિલ્લા અને તાલુકા) અને વિવિધ ગ્રાન્ટ મળી કુલ રૂ. 62 લાખ તેમજ ગ્રામજનોની લોકભાગીદારીથી રૂ. 16 લાખ એકઠા કરી આ ગ્રામ સચિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત ગ્રામ સચિવાલયથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે સાથે સાથે ગ્રામ્ય કક્ષાએથી વિવિધ સુવિધાઓ મળી રહેશે.

મંત્રી કનુભાઈ દેસાઈએ ગ્રામ સચિવાલયના નિર્માણની શુભેચ્છા આપતા કહ્યું હતું કે, ગ્રામ સચિવાલયોથી દરેક વ્યક્તિના કાર્યો પૂરા કરવા, દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું. કોઈ વક્તિએ બીજે કશે દૂર ન જવું પડે તેવી રીતે કાર્ય કરી નવા ગ્રામ સચિવાલયના ઉદ્દેશ્યને સાર્થક કરવો. ફણસા ગામ પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીંના લોકો દેશપ્રેમી – વિકાસપ્રેમી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી માટી મારો દેશ અભિયાન દ્વારા શહીદોને નમન કર્યા છે. ચંદ્રયાન – ૩ ની સફળતા ભારતની દરેક ક્ષેત્રે ક્ષમતા બતાવે છે. ઉમરગામ તાલુકામાં પણ વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. જેમાં કલગામ ખાતે 66 કેવી સબ સ્ટેશનનું નિર્માણ કરાશે તેમજ અંદર-ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી પૂર્ણતાને આરે છે. દેશના વિકાસ માટે ભ્રષ્ટાચાર અટકાવવો એ આપણી સૌની ફરજ છે.

ધારાસભ્ય રમણલાલ પાટકરે ગ્રામ સચિવાલયના ઉદ્દઘાટન પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, ગુજરાતના 18000 ગામોને એક ગ્રામ યોજના હેઠળ તમામ સુવિધાઓથી સજ્જ કરવું એ સરકારનો ધ્યેય છો. સુવિધાયુક્ત ગ્રામ સચિવાલયોના નિર્માણમાં સરકાર દ્વારા આર્થિક સહાયની સાથે સાથે સૌનો સહયોગ મળી રહ્યો છે. નાગરિક સુવિધાને પ્રાધન્ય આપી કામ કરવામાં આવશે તો ‘મારું ગામ ગોકુળ ગામ’ની વ્યાખ્યા સાર્થક થશે. ગામ વિકસિત બનશે.

કાર્યક્રમમાં ફણસા ગામના અત્યાર સુધીના તમામ સરપંચોનું પ્રમાણપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં વિશિષ્ટ ફાળો આપનારા સતત બે ટર્મ સુધી સરપંચ તરીકે સેવા આપનાર વયોવૃદ્ધ સ્વરૂપચંદ રાયચંદ શાહનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા સંદેશો આપ્યો હતો.