નવી દિલ્હી, 29 મે 2026: દેશમાં આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ એક મોટા આતંકવાદી નેટવર્ક સામે દેશવ્યાપી કડક કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાન સાથે જોડાયેલા ઓપરેટિવ જસવીર ચૌધરી અને તેના ભારતીય સાગરીતો દ્વારા ડ્રોન મારફતે હથિયારો, દારૂગોળો અને આઈઈડી (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) નો મોટો જથ્થો ભારતમાં ઘુસાડવાના મામલે એનઆઈએ દ્વારા 4 રાજ્યોમાં કુલ 12 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એજન્સી દ્વારા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્રમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનઆઈએની અલગ-અલગ ટીમો યુપીમાં 5, રાજસ્થાનમાં 2, બિહારમાં 2 અને મહારાષ્ટ્રમાં 3 સ્થળોએ સઘન તલાશી અભિયાન ચલાવી રહી છે. આ દરોડા દરમિયાન ડિજિટલ ઉપકરણો, શંકાસ્પદ દસ્તાવેજો અને અન્ય વાંધાજનક સામગ્રીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક ભારત-પાકિસ્તાન સરહદે ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરી કરતું હતું. આ હથિયારોનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં મોટા આતંકી હુમલાઓને અંજામ આપવાનો હતો. સૂત્રોનું માનીએ તો, આ ષડયંત્રનો મુખ્ય હેતુ નિર્દોષ નાગરિકોના જાનમાલને નુકસાન પહોંચાડવાનો અને દેશમાં ભયનો માહોલ ઉભો કરવાનો હતો.
સિરસા ગ્રેનેડ હુમલા કેસમાં પણ એનઆઈએની મોટી કાર્યવાહી
આ મેગા ઓપરેશનની સાથે જ, એનઆઈએએ હરિયાણાના સિરસા મહિલા પોલીસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ હુમલાના કેસમાં પણ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ આ કેસમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત કુલ નવ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ (આરોપપત્ર) દાખલ કરી છે. તપાસમાં મોટો ખુલાસો થયો છે કે પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા શહઝાદ ભટ્ટીના ઈશારે ભારતમાં પોલીસ મથકોને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ તમામ આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
એનઆઈએના સત્તાવાર નિવેદન મુજબ, આતંકીઓ દ્વારા સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નિર્દોષ યુવાઓને કટ્ટરપંથી બનાવીને આ આતંકવાદી નેટવર્ક સાથે જોડવામાં આવતા હતા. હાલમાં એજન્સી આ કેસમાં ફરાર આરોપીઓ અને ષડયંત્ર સાથે જોડાયેલી અન્ય સ્થાનિક કડીઓ શોધવા માટે સઘન તપાસ કરી રહી છે.

