નવી દિલ્હી, 10 જુલાઈ 2026: દેશમાં સમાન્ય બીમારીમાં લોકો તબીબને બતાવ્યા વિના જ મેડિકલ સ્ટોર ઉપરથી દવા લઈ લેવાનું પસંદ કરે છે. જેના કારણે કેટલીક વખત દર્દીની બીમારી દૂર થવાને બદલે મુશ્કેલીઓ વધે છે. દરમિયાન કેન્દ્ર સરકારે મેડિકલ સ્ટોર ઉપરથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી સીરપ અને દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો હોવાનું જાણવા મળે છે. તેમજ મેડિકલ સ્ટોર સંચાલકો પણ હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સીરપ કે દવા તો નહીં આપી શકે પરંતુ આવી દવાઓના વેચાણનો સંપૂર્ણ ડેટા પણ સાચવી રાખવો પડશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દવાના નિયમોમાં 10મું સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવો કાયદો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાના છ મહિના પછી દેશભરમાં કડક રીતે અમલી બનશે. આ નવા નિયમ અંતર્ગત 30 એમએલ (ML) થી મોટી પેકિંગ ધરાવતી અને 12 ટકાથી વધુ ઇથાઈલ આલ્કોહોલનું પ્રમાણ ધરાવતી તમામ ઓરલ (પીવાની) દવાઓને હવે શિડ્યુલ H1 માં સામેલ કરી દેવામાં આવી છે.
સરકારના આ મોટા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એવી દવાઓનો નશા તરીકે થતો ગેરઉપયોગ રોકવાનો છે જેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે. અત્યાર સુધી દેશમાં ઇલાયચી, આદુ અને અન્ય સુગંધિત ટિંકચર ધરાવતી કેટલીક આયુર્વેદિક દવાઓને શિડ્યુલ-કે હેઠળ લાયસન્સની અનિવાર્યતામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ પ્રકારની કેટલીક દવાઓમાં 80 થી 90 ટકા સુધી આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું, જેનો ઉપયોગ ઈલાજને બદલે નશા માટે થતો હોવાની ચિંતા કેટલાક રાજ્યોએ વ્યક્ત કરી હતી. હવેથી 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ લાયસન્સ લેવું ફરજિયાત બનશે અને મેડિકલ સ્ટોર્સે આવી દવાઓના વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો પડશે. જોકે, જે દર્દીઓને સાચે જ આ દવાની જરૂર છે તેમને ડૉક્ટરના લખાણના આધારે આ દવાઓ સરળતાથી મળતી રહેશે.

