નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે ગણતરીના દિવસોમાં યોજાવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પર બંને કટ્ટર હરીફો આમને-સામને ટકરાશે. લાંબા સમયના સસ્પેન્સ અને વિવાદો બાદ આ મેચ પર મહોર વાગતા ચાહકોમાં રોમાંચ બમણો થઈ ગયો છે.
પાકિસ્તાન તરફથી મેચ રમવા બાબતે ચાલી રહેલી અનિશ્ચિતતા અને અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે નામિબિયા સામેની મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં યુવા સ્ટાર બેટ્સમેન તિલક વર્માએ ભારતની તૈયારીઓ અંગે મોટું નિવેદન આપ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાનના ઈનકાર અને સસ્પેન્સ વચ્ચે ટીમ શું વિચારી રહી હતી? ત્યારે તિલકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમે પાકિસ્તાન સામે રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.”
તિલક વર્માએ ટીમની રણનીતિનો ખુલાસો કરતા જણાવ્યું કે, ટીમ ઈન્ડિયા માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ ટીમોના પર્ફોર્મન્સ પર ચાંપતી નજર રાખી રહી છે. ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલરોની ટેકનિકનો અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે ભારતીય બોલરો પાકિસ્તાનના બેટ્સમેનોને ઝડપવા માટે ખાસ વીડિયો એનાલિસિસ કરી રહ્યા છે. તિલકે જણાવ્યું કે મેચ રમાશે તેની જાણ બે દિવસ પહેલા જ થઈ છે, પરંતુ ભારતીય ખેલાડીઓ માનસિક રીતે પહેલાથી જ તૈયાર હતા.

