Site icon Revoi.in

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધ્યો, હમાસના ટોપ લીડરના ઘરને ઈઝરાયલે ઉડાવી દીધુ

Social Share

દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવ દિવસે ને દિવસે વધતો જાય છે. હમાસ દ્વારા ઈઝરાયલની સુરક્ષાને પડકાર આપવામાં આવે છે અને ઈઝરાયલ પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પગલા ભરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા હમાસના ટોપ લીડરના ઘરને ફૂંકી મારવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ગાઝામાં હમાસના એક ટોચના નેતાના ઘર પર હુમલો કર્યો છે. ગાઝાથી ઈઝરાયેલમાં હવાઈ હુમલા અને રોકેટ છોડવામાં આવ્યાના લગભગ એક અઠવાડિયા બાદ આ હુમલો કરાયો.

સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ હિદાઈ જિલ્બરમેને રવિવારે ઈઝરાયેલી સેનાના રેડિયોને જણાવ્યું કે સેનાએ ગાઝામાં હમાસના સૌથી વરિષ્ઠ નેતા યેહિયેહ સિવારના ઘરને નિશાન બનાવ્યું છે. કદાચ તે ત્યાં છૂપાયેલો હતો. તેનું ઘર દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનૂસ શહેરમાં હતું.  હમાસ અને ઈસ્લામિક જેહાદ સમૂહે સોમવારે સંઘર્ષ શરૂ થયા બાદથી તેમના 20 લોકો માર્યા ગયાની વાત કરી છે. જ્યારે ઈઝરાયેલે કહ્યું કે અસલ સંખ્યા તેનાથી ઘણી વધુ છે.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરીને અમેરિકાને આ બાબતે હસ્તક્ષેપ કરવાની પણ વિનંતી કરી છે અને સાથે સાથે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થઈ રહેલા હુમલાને બંધ કરવા માટે આહવાન કર્યું છે.