Site icon Revoi.in

સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના કેસની તપાસ CBI કરશે

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. હવે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન હડપ કરવાના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. ગત ગુરુવારે હાઈકોર્ટે સંદેશાવાળીની ઘટનાઓને લઈને રાજ્ય સરકારને આકરી ફટકાર લગાવી હતી. સંદેશખાલીમાં હિંસા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, આ મામલો ખૂબ જ શરમજનક છે. દરેક નાગરિકને સુરક્ષા આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કોર્ટે કહ્યું હતું કે, સંદેશખાલી કેસમાં જિલ્લા વહીવટીતંત્ર અને પશ્ચિમ બંગાળ સરકાર બંનેએ નૈતિક જવાબદારી લેવી જોઈએ.

સંદેશખાલીની સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક ટીએમસી નેતાઓએ તેમની જમીન બળજબરીથી કબજે કરી છે. કેટલીક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર બળાત્કારના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આ મુદ્દે બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખ છે. શાહજહાં શેખ પર ED ટીમ પર હુમલો કરવાનો પણ આરોપ છે. આ ઉપરાંત તેનું નામ બંગાળના રાશન કૌભાંડમાં પણ છે. આ જ કારણ છે કે ભાજપે આ મુદ્દે ટીએમસી સરકારને ઘેરી હતી અને સરકાર પર ગુનાહિત તત્વોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.