Site icon Revoi.in

શિક્ષણ બોર્ડનો નિર્ણય, ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી, ગુજરાતી માધ્યમ બદલી શકશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 9થી 12ના ઘણા વિદ્યાર્થીઓ માધ્યમ બદલવા માગતા હોય છે. ઘણા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ ઈચ્છતા હોય છે. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દી માટે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા માગતા હોય છે. માધ્યમ બદલાનો કોઈ નિયમ ન હોવાથી આવા વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નહતા. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાધિશોને શાળાઓના આચાર્યો તેમજ વાલીઓ દ્વારા પણ રજુઆતો મળી હતી. આખરે શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં કોઈપણ માધ્યમ વિદ્યાર્થીઓ બદલી શકે એવો નિર્ણ લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ-9થી 12માં ગુજરાતી, અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો ઠરાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે. રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી, ગુજરાતી સહિતના અલગ અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી, જેને પરિણામે તેમને તકલીફ પડે છે ત્યારે અલગ અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્મય બદલવાની તક આપવામાં આવે તેવી માગણી વાલીઓ અને વિદ્યાર્થીઓએ કરી હતી. આથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે કારોબારી સમિતિએ માધ્યમ બદલવા અંગે આદેશ કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી, ગુજરાતી સહિતના અલગ અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી, જેને પરિણામે તેમને તકલીફ પડતી હતી ત્યારે અલગ અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્મય બદલવાની તક આપવામાં આવી છે.