Site icon Revoi.in

ગુજરાતમાં બે દાયકામાં MSMEની સંખ્યા 2.74 લાખથી વધીને 8 લાખ થઈઃ CM ભુપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ-૨૦૨૨નાં બીજા સંસ્કરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય કોન્કલેવને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે ઔદ્યોગિક વિકાસનું મુખ્યકેન્દ્ર બન્યું છે. આ પ્રયાસોનાં પરિણામે જ આજે દેશમાં બિઝનેસ કરવા માટે સૌથી વધુ પસંદગીનાં રાજ્યોમાં ગુજરાત અગ્રક્રમે છે. ગુજરાત સરકાર વેપાર-ઉદ્યોગોનાં વિકાસ માટે તેમને કૌશલ્યયુક્ત માનવ સંસાધનોની સરળ ઉપલબ્ધિ, આંતરમાળખાકીય સુવિધાઓનો સતત વિકાસ, પ્રક્રિયાનાં સરળીકરણ સહિતનાં ક્ષેત્રોમાં સતત સુધારાઓ લાવી રહી છે. જેનાં પરિણામે કોરોના મહામારીનાં કારણે ઉદ્યોગ-ધંધાઓને વિપરીત અસર છતા આર્થિકક્ષેત્રમાં દેખાવની રીતે ગુજરાત દેશમાં ટોચ પર છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બે દાયકા પહેલા રાજ્યમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા 2.74  લાખ હતી જે આજે વધીને 8 લાખ જેટલા થયા છે. વર્ષ 2002નાં ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ 1.27 લાખ કરોડ હતું, જે આજે વર્ષ 2022માં વધીને 16.19 લાખ કરોડ થવા પામ્યો છે. ગુજરાતમાં ઔદ્યોગિક અને વેપારી પ્રવૃતિઓનાં સંચાલન અને વિકાસ માટે  શ્રેષ્ઠ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે અને તે દિશામાં અવિરત પ્રયાસો યથાવત રહેશે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે ત્યારે દરેક જિલ્લો આ વિકાસયાત્રામાં સમાન રીતે આગળ વધે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલી તકો વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગોનાં વિકાસની વિપુલ સંભાવના છે ત્યારે સરકાર દ્વારા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના જેવા પ્રકલ્પો વિકસાવવા માટે  પૂરતા શકય પ્રયાસો કરવામાં આવશે.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ એક આવકારદાયક નવિન પહેલ છે, જે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લાને પ્રગતિ માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરુ પાડશે. ગુજરાત રાજ્ય વિદેશી મૂડી રોકાણ ક્ષેત્રે અગ્રેસર છે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં ઉદ્યોગોનો વ્યાપ વધે, નવા ઉદ્યોગો સ્થપાય, મૂડીરોકાણની તકો સર્જાય તેવા  ઉમદા હેતુથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશના અન્ય રાજ્યો આ વાઈબ્રન્ટ સમિટનું અનુકરણ કરી રહ્યા છે. સરકારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાનાં નીર ઉપલબ્ધ કરાવતા હવે સૂકોભઠ્ઠ પ્રદેશ હવે હરિયાળો બનશે અને કૃષિ પેદાશો આધારિત ઉદ્યોગોનાં વિકાસની અનેક તકો જિલ્લામાં સર્જાશે.