Site icon Revoi.in

શેરીના જે શ્વાનોને દરરોજ રોટલી ખવડાવતા હતા તેમણે જ મહિલાનો મૃતદેહ શોધી આપ્યો

The street dogs who were fed bread every day discovered the woman's body

The street dogs who were fed bread every day discovered the woman's body

Social Share

હરિયાણા, 22 એપ્રિલ, 2026 – શેરીના જે શ્વાનોને દરરોજ રોટલી ખવડાવતા હતા તેમણે જ મહિલાનો મૃતદેહ શોધવામાં મદદ કરી હોવાનો આશ્ચર્યજનક કિસ્સો અહીં બન્યો છે. હરિયાણાના ફરીદાબાદની આ એવી ઘટના છે જેણે વફાદારીની નવી મિસાલ પેશ કરી છે.

અહીંના બલ્લભગઢની કબૂલપુર કોલોનીમાંથી 6 દિવસથી ગુમ થયેલા 45 વર્ષીય અનીતા દેવીની હત્યાનો કેસ કોઈ જાસૂસે નહીં, પરંતુ બે રખડતા શ્વાને ઉકેલ્યો છે. અનીતાદેવી ‘શેરૂ’ અને ‘રૉકી’ને દરરોજ પોતાના હાથે રોટલી ખવડાવતા હતા. હત્યારાઓએ આ મહિલાની હત્યા કરીને મૃતદેહ નાળામાં સંતાડી દીધો હતો, પરંતુ આ અબોલ જીવોની કોઠાસૂઝે પોલીસને હત્યારાઓ સુધી પહોંચાડી દીધી.

આ પણ વાંચોઃ એ હિન્દુ હત્યાકાંડ હતોઃ પહલગામ આતંકી હુમલાની વરસીએ શુભમના પત્નીએ વ્યક્ત કરી પીડા

જ્યારે ‘શેરૂ’ નાળામાં કૂદી પડ્યો

અનીતા દેવી 15 એપ્રિલથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ હતા. પરિવાર તેમને ઠેર-ઠેર શોધી રહ્યો હતો, પરંતુ કોઈ પત્તો લાગતો નહોતો. આ દરમિયાન તે બંને શ્વાન પણ ગુમસુમ અને માયૂસ હતા. 18 એપ્રિલના રોજ જ્યારે પરિજનો મોહલા ગામના એક નાળા પાસે શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે શેરૂ અને રોકી અચાનક ઝાડીઓ તરફ ભાગ્યા અને જોરજોરથી ભસવા લાગ્યા. પરિવારે તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ શ્વાનોએ નાળા પાસે પડેલી અનીતાની સાડી શોધી કાઢી. ત્યારબાદ શેરૂએ જળકુંભીથી ભરેલા નાળામાં છલાંગ લગાવી, જેના કારણે પાણીની નીચે છુપાવેલો મૃતદેહ દેખાયો.

પાડોશી જ નીકળ્યા હત્યારા

પોલીસ તપાસમાં જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું. અનીતાની હત્યા બીજા કોઈએ નહીં પણ તેમના પાડોશમાં રહેતા પિતા-પુત્રએ મળીને કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પરમજીત 15 એપ્રિલે ગેસ સિલિન્ડર આપવાના બહાને અનીતાના ઘરે ગયો હતો અને પછી વીજળીનું બિલ ભરાવવાના બહાને તેમને બાઈક પર લઈ ગયો હતો. રસ્તામાં તેણે અનીતાની નિર્મમતાથી હત્યા કરી નાખી અને પોતાના પિતા જગમિંદર ડાગર સાથે મળીને મૃતદેહને જળકુંભીથી ભરેલા નાળામાં ફેંકી દીધી હતી.

આ પણ વાંચોઃ ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના

મુખ્ય આરોપી હજુ પણ ફરાર

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આરોપી પિતા જગમિંદર ડાગરની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી દીધો છે. જોકે, મુખ્ય આરોપી પુત્ર પરમજીત હજુ પણ ફરાર છે, જેની શોધમાં પોલીસની ટીમો દરોડા પાડી રહી છે. મૂળ બિહારનો રહેવાસી આ પીડિત પરિવાર કબૂલપુર કોલોનીમાં ભાડે રહેતો હતો. પોલીસનું માનવું છે કે પરમજીતની ધરપકડ બાદ જ હત્યાનાં સાચાં કારણોનો ખુલાસો થઈ શકશે.

Exit mobile version