ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના
નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: આજે ભારત પહલગામના એ કાળા દિવસને યાદ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘાતકી હત્યા કરી હતી. આ હુમલાની પ્રથમ વરસી પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધના કોઈપણ કૃત્યનો વળતો જવાબ નિશ્ચિત છે.
ભારતીય સેનાએ હુમલા બાદ કરેલી કાર્યવાહીની વિગતો શેર કરતા જણાવ્યું કે, આતંકીઓને શોધવા માટે ૩૦૦ ચોરસ કિલોમીટરના દુર્ગમ પહાડી વિસ્તારોમાં ૯૩ દિવસ સુધી ‘ઓપરેશન મહાદેવ’ ચલાવવામાં આવ્યું હતું. પરિણામે, તમામ મુખ્ય ગુનેગારોને ઠાર કરવામાં આવ્યા હતા. વધુમાં, સેનાએ ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો, જે અંતર્ગત મે ૨૦૨૫માં પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સેનાએ સ્પષ્ટ કર્યું કે જ્યારે “માનવતાની હદ વટાવવામાં આવે છે, ત્યારે જવાબ નિર્ણાયક હોય છે.”
22 એપ્રિલ 2025ના રોજ થયેલા આ હુમલામાં આતંકીઓએ પ્રવાસીઓના ધર્મ જાણીને તેમને નિશાન બનાવ્યા હતા. આ ઘટનામાં અનેક નવપરિણીત યુગલોએ જીવ ગુમાવ્યા હતા. આજે સેનાએ ‘India Does Not Forget’ (ભારત ભૂલતું નથી) ના સૂત્ર સાથે દેશની એકતા અને આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો પુનરોચ્ચાર કર્યો છે.


