આતંકના નાપાક ઈરાદાઓ નેસ્તનાબૂદ થશે, પહેલગામ હુમલાની વરસી ઉપર પીએમ મોદીનો હુંકાર
નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ગયા વર્ષે પહલગામમાં થયેલા નિર્મમ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પતા સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ચેતવણી આપી છે કે, ભારત આતંકના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગયા વર્ષે આજના દિવસે પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોને આપણે ક્યારેય ભૂલીશું નહીં. આખો દેશ શોકમગ્ન પરિવારોની સાથે અડીખમ ઊભો છે. આતંકવાદીઓના નાપાક ઈરાદાઓ ક્યારેય સફળ થશે નહીં.”
બરાબર એક વર્ષ પહેલા, 22 એપ્રિલ 2025ના રોજ લશ્કર-એ-તૈયબાના સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ દ્વારા ૨૬ પ્રવાસીઓની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હુમલાની ભયાનકતા એ હતી કે આતંકીઓએ પ્રવાસીઓના ધર્મ ઓળખીને તેમને નિશાન બનાવ્યા હતા. નવપરિણીત યુગલો અને નિર્દોષ શ્રદ્ધાળુઓને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી દેવામાં આવી હતી. ભારતીય સેનાએ પણ આ દિવસે દેશના દુશ્મનોને કડક સંદેશ આપ્યો છે. સેનાએ જણાવ્યું કે માનવતાની હદ વટાવનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને ન્યાય તોળાઈને જ રહેશે.
ઓપરેશન મહાદેવ: હુમલાના તુરંત બાદ હિમાલયની પહાડીઓમાં 93 દિવસ સુધી 300 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી મુખ્ય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર: મે ૨૦૨૫માં ભારતીય દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી બેઝ પર સર્જિકલ એટેક કરી પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ ઓપરેશન બાદ પાકિસ્તાને ગભરાઈને 10 મે 2025ના રોજ સીઝફાયરની વિનંતી કરવી પડી હતી.


