- અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ people awarded Indian citizenship certificates ‘મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ’ એવી હળવી ટકોર સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 11 ડિસેમ્બરને ગુરુવારના રોજ આયોજિત આ અંગેના કેમ્પમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ આ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં CAA અંતર્ગત ૧૨૨ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અને કલેક્ટર કચેરીમાં નોંધાયેલા ૭૩ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મળીને કુલ ૧૯૫ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નાગરિકતા મેળવનાર ૧૯૫ લોકો માટે આ અત્યંત આનંદની ક્ષણ છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ૧૯૫ લોકોને એકસાથે નાગરિકતા આપવામાં આવે એવાં દૃશ્યો કદાચ દેશના બીજાં રાજ્યોમાં ભાગ્યે જ જોવા મળે. અનેક દેશોમાં વર્ષો સુધી યાતનાઓ વેઠીને અને દુઃખો સહન કરીને ભારતમાં શરણાર્થી તરીકે આવીને વસેલા લોકો વર્ષોથી દેશના વિકાસમાં સહભાગી બન્યા છે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રસંશનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ ૨૦૧૭થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યા છે, એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના અવસરે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવવા જઈ રહેલા સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જેમણે વર્ષો સુધી નાગરિકતા મેળવવા રાહ જોઈ છે એમનાં સપનાં આજે સાકાર થઈ રહ્યા છે. ભારત દેશ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાકાર કરે છે. આજે નાગરિકતા મેળવવા જઈ રહેલા સૌ નાગરિકોને ભારતીય કુટુંબમાં આવકારીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે CAA કાયદા થકી અન્ય દેશોમાંથી આવીને વસેલા પરિવારોની લાગણીઓ સમજી છે. તેઓ પ્રજાની તકલીફો, તેમના પ્રશ્નો સારી રીતે સમજે છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવા સતત પ્રયાસરત રહે છે. આ કાયદા હેઠળ દેશમાં લાયક નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં અમદાવાદ જિલ્લો મોખરે છે. સાથે જ, તેમણે વિવિધ સમાજ અને સમુદાયના પરિવારોના લોકોના જીવનધોરણ ઊંચા લાવવા માટે અમલી એવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શું કહ્યું આ પ્રસંગે ભારતીય નાગરિકતા મેળવનાર લાભાર્થીઓએ?
વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ અને ૧૯૫૬થી ભારતમાં આવીને વસેલા ડો. મહેશકુમાર પુરોહિતે આ પ્રસંગે પોતાના પ્રતિભાવો વર્ણવતા જણાવ્યું હતું કે આજનો અવસર આનંદનો અવસર છે. સ્થળાંતરણ સમયે તેમણે ભોગવેલી યાતનાઓ સહિત તેમણે વેઠેલી હાલાકીઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “મને પહેલા ખ્યાલ નહોતો કે હું ભારતીય નાગરિક નથી. જ્યારે પાસપોર્ટ કરાવવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે મારી પાસે નાગરિકતા નથી, કારણ કે મારો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. નાગરિકતા માટે અનેક પ્રયત્નો કર્યા પછી હવે જઈને નાગરિકતા મળી છે. દીકરી વિદેશ રહેતી હોવાથી નાગરિકતાના અભાવે તેને મળવા પણ જઈ શકતો નહોતો. CAA કાયદો આવ્યા બાદ આ કાયદા અંતર્ગત અરજી કર્યા બાદ ગત એપ્રિલ ૨૦૨૫માં મને નાગરિકતા મળી. નાગરિકતા મળતા પાસપોર્ટ પણ મેળવી શક્યો અને વિદેશ રહેતી દીકરીને પણ મળી શક્યો.”
નાગરિકતા મેળવનાર પૂજા અભિમન્યુ વ્યવસાયે એન્જિનિયર છે. પોતાના પ્રતિભાવો વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર માત્ર એક પેપર નથી, આ અમારા માટે બધું જ છે. નાગરિકતા મેળવનાર સૌ પરિવારો કેન્દ્ર સરકારના આભારી છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે CAA કાયદા થકી અમારા જેવા અનેક પરિવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સહાય કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં નરોડાના ધારાસભ્ય ડો. પાયલબેન કુકરાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિવિધ દેશોમાં માઇનોરીટી કોમ્યુનિટીના લોકોનું વર્ષોથી સતત શોષણ થતું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં લાગુ કરવામાં આવેલા CAA કાયદા થકી શરણાર્થી નાગરિકોને એમના હકો મળશે અને તેઓ માનભેર જીવન જીવી શકશે. સાથે જ, તેમણે નાગરિકતા મેળવનાર નાગરિકોને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
સેન્સસ ડિરેક્ટર સુજલ મયાત્રાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા સીટીઝનશીપ એક્ટ ૧૯૫૫ અંતર્ગત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના કાયદાની વિગતો આપવા સાથે આ કાયદા અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અમદાવાદના ધારાસભ્યો, જિલ્લા કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિત જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમુદાયોના પ્રતિનિધિઓ, સભ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

