નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2026 – કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ગુરુવારે હરિયાણા ભવન, નવી દિલ્હી ખાતે હરિયાણા રાજ્યના સાંસદો સાથે ‘જળ જીવન મિશન 2.0’ ના અસરકારક અમલીકરણ અંગે સાર્થક સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર તથા હરિયાણા સરકારના જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ મંત્રી શ્રી રણબીર ગંગવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જળ જીવન મિશન 2.0ના બહેતર અને સમયબદ્ધ અમલીકરણ, જનભાગીદારીને સશક્ત બનાવવા તથા પ્રત્યેક ગ્રામીણ પરિવાર સુધી ગુણવત્તાયુક્ત નળથી જળની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા થઈ હતી. સાંસદોના મૂલ્યવાન સૂચનો અને અનુભવોનું આદાન-પ્રદાન પણ થયું હતું, જે મિશનને વધુ અસરકારક બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રત્યેક ગ્રામીણ પરિવાર સુધી સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે.

