Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ યુવાનને ભીખારી બનાવવા માટે કરાયાં હ્રદય કંપાવી નાખે તેવા અત્યાચાર ગુજારાયાં

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં યુવાનને ભીખ મંગાવવાના ઈરાદે તેના પરિચીતે હાથ-પગ તોડી નાખ્યાં બાદ આંખોમાં કેમિકલ નાખીને અંધ બનાવ્યો હતો, એટલું જ નહીં યુવાનને દિલ્હીની એક ગેંગને વેચી માર્યો હતો. પરંતુ યુવાનની તબિયત વધારે લથડતા ગેંગના લીડરે તેને પરત કાનપુર મોકલી આવ્યો હતો. તે સમયે યુવાનને પરિચીતે જ રસ્તા ઉપર બેસાડીને ભીખ મંગાવી હતી. જો કે, એક રાહદારીની સુરેશની હાલત ઉપર નજર પડતા તેની પૃચ્છા કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે પણ ગેંગને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છ મહિના પહેલા કાનપુરના નૌબસ્તા રવીન્દ્ર નગરમાં રહેતો સુરેશ માંઝી (ઉ.વ. 30) નોકરીની શોધમાં ભટકતો હતો, તેને પહેલા તેના પરિચીત વિજયે મચરિયાએ ઝાકરકાટી પુલ નીચે યુવાનને બંધક બનાવ્યો હતો, ત્યારબાદ માર માર્યો અને તેના હાથ અને પગના પંજા તોડી નાખ્યા. એટલું જ નહીં આંખોમાં કેમિકલ નાખીને યુવાનને અંધ બનાવી દીધો હતો. આ ઉપરાંત શરીર ઉપર અનેક જગ્યાએ ઈજાના નિશાન કર્યાં હતા. યુવાન ઉપર અનેક અત્યાચાર ગુજાર્યા બાદ વિજયે તેને દિલ્હીમાં ભીખારી ગેંગના લીડર રાજને રૂ. 70 હજારમાં વેચી દીધો હતો. દરમિયાન સુરેશની તબિયત સારી નહીં રહેતી હોવાથી રાજે તેને પરત વિજય પાસે કાનપુર મોકલી આપ્યો હતો. અહીં વિજયે યુવાનને ભુખ્યો-તરસો રાખીને રસ્તા ઉપર ભીખ મંગાવતો હતો. આમ યુવાન તેના માટે આવકનું એક સાધન બની ગયો હતો.

તાજેતરમાં માર્ગ ઉપરથી પસાર થતા એક રાહદારીની નજર સુરેશ ઉપર પડી હતી. જેથી આ રાહદારીએ તેની સાથે વાત કરતા સમગ્ર રેકેટ સામે આવ્યું હતું. જેથી આ રાહદારી તાત્કાલિક યુવાનને તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં સુરેશની હાલત જોઈને પરિવારજનો પણ હચમચી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના જાણીને ચોંકી ઉઠ્યાં હતા. જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને ગેંગને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.