અમદાવાદ, 14 માર્ચ, 2026 – Raipur Bhajia House અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર શહેરના છેક રાયપુર ભજિયા હાઉસ સુધી પડી છે. આ યુદ્ધને કારણે દેશ અને દુનિયામાં ગૅસ તેમજ અન્ય પેટ્રોલિયમ પેદાશોની અછતની સ્થિતિ સર્જાઈ છે. ભારત સરકારે જોકે ખાતરી આપી છે કે, દેશમાં ગૅસની અછત નથી, છતાં કેટલાક સંગ્રહખોરોને કારણે સાચી જરૂરિયાતવાળા લોકોને ભોગવવું પડી રહ્યું છે.
દરમિયાન, આજે એક વીડિયો વાયરલ થયો છે જેમાં રાંધણ ગૅસની અછતને ઉજાગર કરી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ, અમદાવાદ સહિત શહેરોમાં રેસ્ટોરા ઉદ્યોગ ઉપરાંત મોટાપાયે ભોજન વ્યવસ્થા સંચાલિત હોય એવી સંસ્થાઓમાં કાંતો તાળાં મારવાની સ્થિતિ આવી છે અથવા ભોજનનો સમય અને વ્યંજનોની સંખ્યા ઓછી કરી દેવી પડી છે.
એવા સમયે અમદાવાદના સુપ્રસિદ્ધ રાયપુર ભજિયા હાઉસના સ્વાદિષ્ટ ભજિયા ખાવા પહોંચેલા લોકો આજે નિરાશ થયા હતા. આ ભજિયા હાઉસની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ગૅસ નહીં હોવાથી માલ (ભજિયા) નથી, તકલીફ બદલ ક્ષમા કરશો.
આમ તો આવી સ્થિતિ ઘણી જગ્યાએ છે પરંતુ રાયપુર ભજિયા હાઉસ અનેક દાયકાથી સુવિખ્યાત હોવાને કારણે એ સમાચારમાં ચમક્યું છે અને તેનો વીડિયો પણ ઘણો વાયરલ થયો છે.

