Site icon Revoi.in

અમદાવાદમાં સપ્તાહમાં સ્વાઈન ફ્લુના 200 કેસ નોંધાયા, મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં પણ વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શન, પાણીજન્ય અને મચ્છરજન્યના કેસમાં વધારો થયો છે. શહેરમાં ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 709 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં એક જ અઠવાડિયામાં સ્વાઈનફ્લૂના 200 કેસો નોંધાયા હતા. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો હતા. વરસાદ બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા છે. વરસાદ અને ડ્રેનેજમાં મિક્સ થયેલા દૂષિત પાણીને કારણે ઝાડા ઊલટીના અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં  ઓગસ્ટ મહિનામાં ઝાડા ઊલટીના 816, કમળાના 192, ટાઇફોઇડના 349 અને કોલેરાના 12 કેસો નોંધાયા હતા. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 200, ડેન્ગ્યુ 221, ચિકનગુનિયાના 29 અને ઝેરી મેલેરિયા 32 કેસો નોંધાયા હતા ઉપરાંત સ્વાઈન ફ્લૂના 709 જેટલા નોંધાયા હતા. જેમાં સ્વાઇન ફ્લૂમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે. શહેરમાં સૌથી વધુ કહેર સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી જોવા મળ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓમાં પણ વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 7 જેટલા મેડિકલ કેમ્પનું યોજાઈ ચૂક્યા છે. હજી 13 જેટલા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. આમ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં અને કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં રોગોનો વધારો થયો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે, અને ક્લોરિન નીલ આવ્યું છે, ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ઓગસ્ટ મહિનામાં 933 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 37 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા હતા. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે, ત્યાં એએમસીના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું  છે.