Site icon Revoi.in

સ્થળાંતર કરનારી 22 ટકા પ્રજાતિઓ પર લુપ્ત થવાના જોખમ, UNના અહેવાલમાં ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ સ્થળાંતરિત પ્રજાતિઓ પરના પ્રથમ અહેવાલ મુજબ, વિશ્વભરમાં સ્થળાંતર કરનારી પ્રજાતિઓ ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. જો સકારાત્મક પ્રયાસો કરવામાં નહીં આવે, તો 22 ટકા સ્થળાંતરિત પ્રજાતિઓ ટૂંક સમયમાં લુપ્ત થઈ શકે છે. તેનો અર્થ એ છે કે વિશ્વમાં દરેક પાંચમી સ્થળાંતરિત પ્રજાતિઓ લુપ્ત થવાની આરે છે. આ સિવાય 44 ટકા સ્થળાંતર કરનારી પ્રજાતિઓની વસ્તી ઘટી રહી છે, જ્યારે કેટલીકમાં વધારો પણ જોવા મળ્યો છે. સ્થળાંતરીત માછલીઓ સૌથી વધુ જોખમમાં છે. તેમની 97 ટકા પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે.

અહેવાલ મુજબ, છેલ્લા 30 વર્ષોમાં CMSમાં સૂચિબદ્ધ 70 સ્થળાંતરિત પ્રજાતિઓ માટેના જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં મેદાની ગરુડ, ઇજિપ્તીયન ગીધ અને જંગલી ઊંટનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન માત્ર 14 પ્રજાતિઓની સ્થિતિમાં સુધારો થયો છે. તેમાં વાદળી અને હમ્પબેક વ્હેલ, સફેદ પૂંછડીવાળા સમુદ્રી ગરુડ અને કાળા ચહેરાવાળા સ્પૂનબિલનો સમાવેશ થાય છે.

લુપ્ત થવાના વધતા જોખમમાં સ્થાનાંતરિત પ્રજાતિઓમાં સીએમએસ હેઠળ સૂચિબદ્ધ ન હોય તેવી 399 પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. તેમાં મુખ્યત્વે પક્ષી અને માછલીની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. CMS એ સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણીય સંધિ છે જે સ્થળાંતર કરનારા પ્રાણીઓ અને તેમના રહેઠાણોના સંરક્ષણ માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ અંતર્ગત વિશ્વભરમાંથી સ્થળાંતર કરનારી પ્રજાતિઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે.

અહેવાલમાં માનવીય પ્રવૃત્તિઓને આ સ્થળાંતરિત પ્રજાતિઓ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. માનવીય પ્રવૃત્તિઓને કારણે તેમના રહેઠાણોને નુકસાન થઈ રહ્યું છે. શિકાર અને માછીમારી અનેક સ્થળાંતરિત પ્રજાતિઓ માટે સૌથી મોટા જોખમ તરીકે ઉભરી આવ્યા છે.