- સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને રહ્યું
- નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ
- ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે એવોર્ડ અપાયો હતો
નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ Another achievement, Gujarat awarded ‘National Water Award-2025’ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -૨૦૨૫’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી પાર્થિવ સી.વ્યાસે ગુજરાત સરકાર વતી નવી દિલ્હી ખાતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જળ સંચાલન ક્ષેત્રે કરેલા ટકાઉ, નવીન અને જનકેન્દ્રિત પ્રયત્નોને પરિણામે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહારાષ્ટ્રને પ્રથમ જ્યારે ગુજરાતને બીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત જળ સંસાધનો, સંરક્ષણ અને વ્યવસ્થાપન શ્રેણીમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને દ્વિતીય સ્થાન મળ્યું…
તા. 18 નવેમ્બરના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે શ્રી પી. સી. વ્યાસ, સેક્રેટરી (જળસંપત્તિ વિભાગ)એ રાજ્ય સરકાર તરફથી એવોર્ડ સ્વીકાર્યો…… pic.twitter.com/IrqU5Zbda8
— Gujarat Information (@InfoGujarat) November 18, 2025
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં પાણીના સ્ત્રોતોનું યોગ્ય આયોજન અને પાણીનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેમાં પાણીના સ્ત્રોતોનું સંચાલનમાં ડેમ, બેરેજ, ચેકડેમ દ્વારા પાણીનું સંગ્રહ, વિતરણ અને પુનઃઉપયોગ માટે મજબૂત તંત્ર ઊભું કરાયું છે. વધુ પાણી ધરાવતા વિસ્તારોમાંથી પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. જ્યારે ભૂગર્ભ જળ રિચાર્જ અને ખાર નિયંત્રણ થકી પાણીની તંગી વાળા વિસ્તારોમાં રિચાર્જ પ્રોજેક્ટ્સ આધારિત યોજનાઓ દ્વારા જળ સંતુલન જાળવવામાં આવ્યું છે.
વધુમાં નાગરિક સહભાગિતા અને નવીન યોજનાઓના માધ્યમથી શુદ્ધ કરેલા ગંદાપાણીનો પુનઃઉપયોગ, પીવાના પાણી માટે ભૂગર્ભ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપનમાં સમુદાયની સહભાગિતા દ્વારા ગુજરાતે દેશ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

