Site icon Revoi.in

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

Social Share

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે તે અંતર્ગત ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે.

કોરોના કાળમાં સંક્રમણના અટકાવવાના હેતુથી બંધ કરવામાં આવેલી ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન ફરી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે અને સરકારની ગાઈડલાઈનના પાલન સાથે વધુ ને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ભાવનગરથી સુરેન્દ્રનગર દોડનારી ડેઇલી સ્પેશિયલ ટ્રેન નંબર 09528 ભાવનગર ટર્મિનસથી સવારે 5:00 ઉપડી સવારે 9 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.

જ્યારે ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગરથી ભાવનગર દૈનિક સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગરથી સવારે 09:40 કલાકે ઉપડી બપોરે 01:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.  મહુવાથી રોજની ત્રણ ટ્રેનનું આવન-જાવન ચાલુ હતું, જેમાં મહુવા, રાજુલા, મહુવા, મહુવા ધોળા જંક્શન મહુવા, અને મહુવા ભાવનગર મહુવા ટ્રેન ચાલુ હતી, પરંતુ હાલ એ પૈકી માત્ર મહુવા ભાવનગર મહુવા ટ્રેન શરૂ છે. બાકીની બંને ટ્રેનો બંધ કરવામાં આવી છે. મહુવા ભાવનગર મહુવા ટ્રેન બપોરે 2:20 કલાકે ઉપાડવામાં આવે છે,

ટ્રેનો બંધ કરવામાં આવી હોવાથી તેમજ ભાવનગર મહુવા રોડ અતિશય બિસ્માર હાલતમાં હોવાથી મહુવા, સાવરકુંડલા અને રાજુલાના મુસાફરોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બંધ કરવામાં આવેલ દૈનિક ટ્રેન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મહુવાને બ્રોડગેજ લાઇન મળ્યા પછી લાંબા અંતરની એક પણ ટ્રેન હજી સુધી મળી નથી. એક માત્ર લાંબા અંતરની મહુવા બાંદ્રા મહુવા ટ્રેન જે અઠવાડિયામાં બે વખત ચાલતી હતી, તેને પણ કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી હતી.

જ્યારે સુરત મુંબઈ બાંદ્રા વિકલી ટ્રેન અને મહુવા ધોળા ટ્રેન પણ બંધ કરી દેવામાં આવતા મહુવા પંથકના મુસાફરો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે, જેથી મહુવા સુરત મહુવા ટ્રેન અને મહુવા બાંદ્રા મહુવા ટ્રેન ફરી શરૂ કરવામાં આવે તેવી મહુવાના મુસાફરોએ માંગ કરી છે.