નવી દિલ્હી, 10 એપ્રિલ, 2026 – ભારતીય સેનાએ લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતને બ્રિગેડિયરના પદ પર બઢતી આપવા માટે ક્લિયરન્સ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો હતો. આ વિકાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલ (AFT) એ તેમની નિવૃત્તિ પર રોક લગાવી હતી.
લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતની નિવૃત્તિ 31 માર્ચ 2026 ના રોજ થવાની હતી. જોકે, બઢતી અને તેને લગતા સેવા લાભો ન મળવા બાબતે તેમણે AFT ના દ્વાર ખખડાવ્યા હતા. તેમની અરજી પર સુનાવણી કરતા ટ્રિબ્યુનલે સંરક્ષણ મંત્રાલયને નોટિસ પાઠવી હતી અને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી તેમની કાનૂની ફરિયાદ પર અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેમની નિવૃત્તિ સ્થગિત રાખવામાં આવે.
માલેગાંવ કેસનું નડતર
AFT માં દાખલ કરેલી અરજીમાં પુરોહિતે દલીલ કરી હતી કે 2008 ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં લાંબા સમય સુધી ચાલેલા મુકદ્દમાને કારણે તેમની કારકિર્દીની પ્રગતિ પ્રભાવિત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબને કારણે તેમને સેનાના પદાનુક્રમમાં સમયસર બઢતીની યોગ્ય તક મળી શકી નહોતી.
શું હતો માલેગાંવ કેસ?
ઉલ્લેખનીય છે કે 31 જુલાઈના રોજ મુંબઈની NIA વિશેષ અદાલતે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં કર્નલ પુરોહિત સહિત 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપોને શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ કેસમાં શરૂઆતમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ અંતે સાત આરોપીઓ પર જ આરોપ નક્કી થયા હતા.
આ પણ વાંચોઃ ધર્માંતર ટોળકીની જાળમાંથી બચી ગયેલા દલિત યુવકની મદદે આવ્યું સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન
પુરોહિતની સાથે જે અન્ય લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, તેમાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિકર, સુધાંકર ધર દ્વિવેદી (શંકરાચાર્ય) અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે.
સેનાએ બ્રિગેડિયર પદ માટે યોગ્ય માન્યા
સૂત્રોનું કહેવું છે કે સેનાએ પુરોહિતના સેવા રેકોર્ડ અને તમામ સંબંધિત પાસાઓની સમીક્ષા કર્યા પછી તેમને બ્રિગેડિયર પદ માટે યોગ્ય માનીને મંજૂરી આપી છે. હવે તેમની બઢતીને લગતી ઔપચારિક અધિસૂચના બહાર પાડવાની બાકી છે. આ નિર્ણયને ભારતીય સેનામાં બઢતીની પ્રક્રિયા અને ન્યાયિક આદેશોના પાલન સાથે જોડાયેલી એક મહત્ત્વની ઘટના માનવામાં આવી રહી છે. જે રીતે તેઓ ફરીથી ગૌરવ સાથે ઊભા થયા છે, તે તેમના આત્મવિશ્વાસ અને નવી ઊર્જાનું પરિણામ છે.

