Site icon Revoi.in

દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડ પણ એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર સાથે તૈનાત

Social Share

અમદાવાદઃ ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પણ જોવા મળી રહી છે. હાલ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યનું વહીવટી તંત્ર હાલ બચાવ કામગીરીમાં જોડાયું છે. દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત રાખ્યાં હોવાનું જાણવા મળે છે.

કોસ્ટગાર્ડ રિજીયત નોર્થ વેસ્ટના કમાન્ડન્ટ ઈન્સ્પેક્ટર જનરલ અમિત કુમાર હાર્બોલાએ કહ્યું કે, બિપરજોય વાવાઝોડું ખૂબ જ સિવિયર સાક્લોન છે. 6 જુનથી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ. અમે એ જ સમયથી અમારા એર ક્રાફ્ટ અને શીપ સક્રિય કર્યા હતા. માછીમારોને પણ તાત્કાલિક સજાગ કરાયા હતા. અમે સ્ટેક હોલ્ડર, પોર્ટ, મરીન પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે. ગઈકાલ સુધીમાં 39 શીપ પરત લાવવાની કાર્યવાહી કરાઈ છે. અલગ જગ્યા પર 8 સ્ટેશનમાં 15 જહાજ, 7 એર ક્રાફ્ટ, 4 ડોર્નિયર અને 3 હેલીકોપ્ટર એલર્ટ પર રાખ્યા છે. ગઈકાલે 3 જહાજ દરિયામાં જોવા મળ્યા હતા. એમાં એન્જીનનો પ્રોબ્લેમ હતો અને પછી તે સાઉથ દિશામાં જતું રહ્યું છે. 6 વખત અમે માછીમારો સાથે સંવાદ કર્યો છે.

ઓઈલ હેન્ડલીંગ એજન્સી સાથે પણ અમે સંવાદ કર્યો છે. 12 તારીખે અમે 26 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા છે અને બીજા દિવસે સુનિલ દત્ત અને સૌરવ નામના બે કેપ્ટનની મદદથી બીજા 24 એમ કુલ 50 લોકોને બચાવ્યા છે. પૂર આવે અને જરૂર પડે તે માટે 53 ઓન બોર્ડ એન્જીન, 1 હજાર લાઈફ જેકેટ તૈયાર રાખ્યા છે. જખૌ, ઓખા, મુંદ્રા, વાદીનાર ખાતે પણ અમારી ટીમ સ્ટેન્ડ બાય રાખી છે.