નવી દિલ્હી, 13 માર્ચ, 2026 – દર વર્ષની જેમ આ વર્ષે પણ IPLનો પ્રારંભ થાય તે પહેલાં વિવાદ જાગ્યો છે. લંડનમાં ‘ધ હન્ડ્રેડ’ (The Hundred 2026) ની પ્રથમ પુરુષ ખેલાડીઓની હરાજી બાદ મોટો વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને કાવ્યા મારનની માલિકીની ફ્રેન્ચાઈઝી ‘સનરાઈઝર્સ લીડ્સ‘એ ખરીદ્યો છે, જેના પછી સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ ફ્રેન્ચાઈઝીની કમાન ઉદ્યોગપતિ કલાનિધિ મારનના સન ગ્રુપ પાસે છે અને તેની CEO તેમની પુત્રી કાવ્યા મારન છે.
શું કહ્યું BCCIએ?
વિવાદ વધ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કહ્યું કે, “આ મામલો બોર્ડના અધિકારક્ષેત્રમાં આવતો નથી. આ વિદેશી લીગનો મામલો છે અને તે લીગે જ આ અંગે નિર્ણય લેવો પડશે. આમાં BCCI કંઈ કરી શકે નહીં.”
અબરારને કેમ ખરીદ્યો?
વિવાદની વચ્ચે ટીમના હેડ કોચ ડેનિયલ વેટોરીએ આ નિર્ણય પર સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે ટીમની પહેલી પસંદ ઇંગ્લેન્ડનો સ્ટાર સ્પિનર આદિલ રાશિદ હતો, પરંતુ હરાજીમાં તેને સધર્ન બ્રેવ ટીમે ખરીદી લીધો. ત્યારબાદ સનરાઈઝર્સ લીડ્સે વિદેશી સ્પિનરના વિકલ્પો પર ધ્યાન આપ્યું અને આખરે અબરાર અહમદને ટીમમાં સામેલ કર્યો.
આ પણ વાંચોઃ આસારામ બાપુએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, સાધુ-સંતોએ સ્વાગત કર્યું
સનરાઈઝર્સ લીડ્સનું X (ટ્વિટર) એકાઉન્ટ પણ સસ્પેન્ડ
અબરાર અહમદને ખરીદ્યા બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર ભારે નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન સનરાઈઝર્સ લીડ્સનું સત્તાવાર X એકાઉન્ટ પણ સસ્પેન્ડ થઈ ગયું, જેનાથી વિવાદ વધુ ઘેરો બન્યો છે. જોકે એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું અસલી કારણ હજુ સામે આવ્યું નથી.
🚨 HUGE! Sunrisers Leeds’ official X account has been SUSPENDED after massive backlash from 🇮🇳 fans over signing Abrar Ahmed in The Hundred auction. pic.twitter.com/JReCEeJECx
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 13, 2026
2.34 કરોડમાં ખરીદાયો અબરાર
પાકિસ્તાનના લેગ સ્પિનર અબરાર અહમદની બેઝ પ્રાઈસ આશરે 92.5 લાખ રૂપિયા હતી, પરંતુ હરાજીમાં તેને ખરીદવા માટે સનરાઈઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે લાંબી બોલી લાગી હતી. આખરે સનરાઈઝર્સ લીડ્સે £190,000 (આશરે 2.34 કરોડ રૂપિયા) માં તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ રીતે અબરાર અહમદ કોઈ ભારતીય માલિકીની ટીમ માટે ‘ધ હન્ડ્રેડ’ માં રમનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે.
વિવાદનાં મુખ્ય કારણો
જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સ: ભારતીય ચાહકોએ અબરાર અહમદની કેટલીક જૂની પોસ્ટ્સ શોધી કાઢી છે, જેમાં તેણે કાશ્મીર મુદ્દે અને ભારત વિરોધી ભાવનાઓ વ્યક્ત કરી હતી. આ પોસ્ટ્સના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કટ્ટરપંથી વિચારધારાના આરોપ: કેટલાક યુઝર્સનો એવો પણ આરોપ છે કે અબરાર અમુક એવી વિચારધારાઓને સમર્થન આપે છે જે ભારતની સુરક્ષા અને અખંડિતતાની વિરુદ્ધ છે.
કાવ્યા મારન પર નિશાન: ભારતીય ચાહકો એ વાતથી વધુ નારાજ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) જેવી લોકપ્રિય ભારતીય ટીમ ચલાવનાર કાવ્યા મારનની ફ્રેન્ચાઈઝીએ આવા વિવાદાસ્પદ ખેલાડી પર આટલી મોટી રકમ (2.34 કરોડ રૂપિયા) કેમ ખર્ચી. સોશિયલ મીડિયા પર #BoycottSunrisers જેવી ઝુંબેશ પણ જોવા મળી રહી છે. આ વિવાદને કારણે સનરાઈઝર્સ લીડ્સની બ્રાન્ડ વેલ્યુ પર અસર પડી રહી છે. ટીમ મેનેજમેન્ટે ખેલાડીની પસંદગીને માત્ર ‘વ્યૂહાત્મક’ (Strategic) ગણાવી છે, પરંતુ ચાહકોની નારાજગી હજુ ઓછી થઈ નથી.

