Site icon Revoi.in

સી.આર.પાટીલની મુશ્કેલી વધીઃ રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી  હતી. ત્યારે આજે કોંગ્રેસના  વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા મામલો ગરમાયો છે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના સાંસદ  અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે “અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં  રેમડેસિવિર ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાનો પણ જવાબ માગવામાં આવ્યો છે.

વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરહિતની અરજીમાં “ફાર્મસી એક્ટ 1949″ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.