Site icon Revoi.in

કચ્છના નાનારણમાં આવેલા અભ્યારણ્યમાં મીઠાંના અગરો તેમજ ગેરકાયદે બાંધકામોથી ઘૂડખરને ખતરો

Social Share

ભૂજ : કચ્છના નાના રણમાં અને ખાસ કરીને ઘૂડખર અભ્યારણ્યમાં મીઠાંના ગેરકાયદે અગરો તેમજ કેટલાક સ્થળોએ સરકારી જમીનો પર દબાણો કરીને પાકા બાંધકામો પણ કરી દીધા હોવાની કાંઠા વિસ્તારના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને પગલા લેવાની માગ કરી છે.

કચ્છ જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, કચ્છના નાના રણને ઘુડખર અભ્યારણમાં સમાવેશ કરાતા આ વિસ્તારમાં મીઠાના અગરીયાઓને ભાડાપટ્ટે લીઝ ઉપર આપેલી પટાઓની લીઝ સરકાર દ્વારા નામંજુર કરવામાં આવી હતી, પરંતુ કાનમેર જોધપર અને અન્ય ગામોને અડીને આવેલા નાના રણની જમીન જે અભ્યારણમાં ગઈ છે ત્યાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદે કબ્જો કરીને પાકા બાંધકામ કરવામાં આવ્યા છે. ઘુડખરોનું જીવન ન જોખમાય તે માટે સરકારે મંજુર કરેલી લીઝ રદ કરી હવે ગેરકાયદે થયેલા દબાણોના કારણે ઘુડખર ખેતીની જમીન તરફ આવી રહ્યા હોવાથી ખેડુતોને પણ ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. ભુમાફીયાઓ દ્વારા કરાતા બેરોકટોક બાંધકામની બાબત વન તંત્રના અધિકારીઓની પણ મુક સહમતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કલેક્ટરને પત્ર દ્વારા વી પણ રજુઆત કરવામાં આવી છે કે, નાના રણ વિસ્તારમાં  દબાણો હટાવવા ત્વરીત કાર્યવાહી કરવી જોઈએ. જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. દરમિયાન ભીમદેવકા ગ્રામ પંચાયત દ્વારા પણ ઘુડખર અભ્યારણમાં બનેલા મીઠાના કારખાના હટાવવા અંગે જિલ્લા કલેકટરને પત્ર પાઠવી માંગ કરાઈ છે. પત્રમાં કંપનીઓના નામજોગ ફરીયાદ કરવામાં આવી છે. કોઈ લીઝ કે મંજુરી વિના કારખાના બનાવી દેવાયા હોવાનો આક્ષેપ સરપંચ બાલુબેન દજાભાઈ સુરાણીએ કર્યો હતો. મીઠાની ગાડીઓ રસ્તાઓ ઉપર સતત અવરજવર કરાતી હોવાના કારણે ખેડેતોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ પ્રવૃતિ થકી વન્ય જીવો લુપ્ત થાય તેવી દહેશત પત્રમાં વ્યકત કરાઈ છે. જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.