નવી દિલ્હીઃ દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે હાલમતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાના સભ્યોએ પોતાનો મત આપ્યો હતો. 245 સભ્યોની રાજ્યસભામાંથી માત્ર 233 સાંસદો જ મતદાન કરી કર્યું હતું. આ ચૂંટણીમાં 12 નામાંકિત સાંસદોએ મતદાન કર્યું નથી. આ સાથે લોકસભાના તમામ 543 સભ્યો મતદાનમાં ભાગ લઈ રહ્યાં છે. તેમાં આઝમગઢ, રામપુર અને સંગરુરમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના વિજેતા સાંસદોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ રાજ્યોના કુલ 4033 ધારાસભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે. આ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 4809 થશે. જો કે તેમના મતની કિંમત અલગ-અલગ હશે.