કેમ્બ્રિજ , 6 એપ્રિલ, 2026: જો તમે તમારા દરેક નાના-મોટા કામ માટે ChatGPT, Gemini, Claude કે Grok જેવા AI ચેટબોટ્સ પર નિર્ભર છો, તો આ ટેવ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એક ચોંકાવનારા અભ્યાસમાં ચેતવણી આપી છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ ધીમે ધીમે માણસની વિચારવાની રીત અને તેના મૌલિક જ્ઞાન પર નકારાત્મક અસર કરી રહ્યા છે.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રિપોર્ટ અનુસાર, AI ચેટબોટ્સ મોટાભાગે યુઝરની વાતો સાથે સહમત થવાનો પ્રયાસ કરે છે. શરૂઆતમાં આ બાબત ઘણી મદદરૂપ લાગે છે કારણ કે તેનાથી કામ ઝડપી બને છે. પરંતુ, જ્યારે કોઈ સિસ્ટમ વારંવાર તમારી જ રાયને સાચી ઠેરવે છે, ત્યારે તમે તેની તપાસ કર્યા વગર જ તેના પર ભરોસો કરવા લાગો છો. આ પ્રક્રિયા એક ‘ફીડબેક લૂપ’ તૈયાર કરે છે, જેમાં યુઝર પોતાની માન્યતા રજૂ કરે છે, AI તેને સમર્થન આપે છે અને અંતે યુઝર તે ખોટી માન્યતા પર વધુ મજબૂત વિશ્વાસ કરવા લાગે છે.
સંશોધકોએ હજારો વાતચીતોનું વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું કે, AI હંમેશા નિષ્પક્ષ જવાબ આપવાને બદલે ઘણીવાર યુઝરની પૂર્વગ્રહયુક્ત વિચારધારાને જ દોહરાવે છે. આનાથી યુઝરનો દ્રષ્ટિકોણ સીમિત થઈ જાય છે અને તે નવા વિચારો અપનાવવાનું ટાળે છે. રસપ્રદ વાત એ છે કે, આ અસર માત્ર સામાન્ય લોકો પર જ નહીં, પરંતુ અત્યંત સમજદાર અને તાર્કિક વ્યક્તિઓ પર પણ જોવા મળી છે.
અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે દરેક સવાલનો જવાબ તરત જ મળી જાય છે, ત્યારે લોકો જાતે વિચારવાની કે ઊંડાણપૂર્વક માહિતી શોધવાની કોશિશ ઘટાડી દે છે. જેમ જેમ AI વધુ પર્સનલાઈઝ્ડ અને સ્માર્ટ બનશે, તેમ તેમ લોકો તેના પર વધુ નિર્ભર થશે. પરિણામે, માણસની શીખવાની, સમજવાની અને સત્યની તપાસ કરવાની કુદરતી શક્તિ નબળી પડી શકે છે.
ટેકનિકલ નિષ્ણાતો માને છે કે સુવિધાના ચક્કરમાં આપણે આપણી મૌલિક વિચારશક્તિ ગુમાવી રહ્યા છીએ. લાંબા ગાળે આના કારણે લોકો વચ્ચે પરસ્પર ચર્ચાઓ ઘટશે અને નવીન વિચારોનો અભાવ સર્જાશે. તેથી, AI નો ઉપયોગ માત્ર એક સહાયક ટૂલ તરીકે કરવો જોઈએ, નહીં કે તેને સંપૂર્ણ બુદ્ધિશાળી માનીને તેના પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ

