આંખો આપણા શરીરના સૌથી નાજુક અને મહત્વપૂર્ણ અંગો પૈકી એક છે. તેની જ મદદથી આપણે આખી દુનિયાની સુંદરતાને નિહાળી શકીએ છીએ અને તેને સમજી શકીએ છીએ. પરંતુ, આજના આધુનિક યુગમાં લાંબા સમય સુધી મોબાઈલ, લેપટોપ અને ટીવીની સ્ક્રીન સામે બેસી રહેવાની આદતના કારણે આંખો પર અતિશય તાણ (સ્ટ્રેસ) વધી રહ્યો છે. આ ઉપરાંત, વધતી ઉંમર, બિનઆરોગ્યપ્રદ આહાર, પ્રદૂષણ, ધૂળ-માટી, તેજ તડકો અને આંખોની યોગ્ય દેખરેખ ન રાખવાના કારણે દ્રષ્ટિ ક્ષીણ થવાનું જોખમ પણ સતત તોળાતું રહે છે. ઘણીવાર લોકો સામાન્ય આંખની સમસ્યાઓને અવગણતા હોય છે, જે સમય જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ જ કારણ છે કે આંખોની નિયમિત અને યોગ્ય સંભાળ રાખવી અત્યંત આવશ્યક બની ગઈ છે.
આંખોને દીર્ધકાલીન સમય સુધી સ્વસ્થ અને તેજ જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતો અપનાવવી અનિવાર્ય છે. સંતુલિત આહાર અને આંખોમાં થતા નાના-મોટા ફેરફારો પ્રત્યે સતર્કતા રાખીને અનેક ગંભીર બિમારીઓથી બચી શકાય છે. આવો જાણીએ આંખોના સ્વાસ્થ્ય માટે કઈ આદતો અપનાવવી જોઈએ, શું ખાવું જોઈએ અને કયા લક્ષણોને ક્યારેય ન અણગણવા જોઈએ.
આંખોને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ આદતો
નેશનલ આઈ ઇન્સ્ટિટ્યુટ (NEI) ના સૂચન મુજબ, આંખોને તંદુરસ્ત રાખવા માટે સમયાંતરે આંખોની ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ, જેથી કોઈપણ સમસ્યાની શરૂઆતમાં જ ખબર પડી શકે. જો તમારું કામ લાંબા સમય સુધી કમ્પ્યુટર કે સ્ક્રીન સામે બેસવાનું હોય, તો કામની વચ્ચે થોડો વિરામ લઈને આંખોને આરામ આપવો જરૂરી છે.
-
સૂર્યના તાપથી બચાવ: તડકામાં બહાર નીકળતી વખતે હંમેશા સારી ક્વોલિટીના સનગ્લાસ (ચશ્મા) પહેરો, જે આંખોને હાનિકારક યુવી (UV) કિરણોથી સુરક્ષિત રાખે.
-
ધૂમ્રપાનથી તૌબા: સિગારેટ કે તંબાકુનું સેવન કરવાથી આંખોની ગંભીર બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે, તેથી તેનાથી દૂર રહેવું.
-
હાઈજિનનું ધ્યાન રાખો: જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ, તો તેની સાફ-સફાઈ અને ઉપયોગ કરવાની યોગ્ય પદ્ધતિઓનું ચુસ્તપણે પાલન કરો. આંખોને અડકતા પહેલા હાથોને બરાબર સાબુથી ધોઈ લો, જેથી ઇન્ફેક્શનનો ખતરો ટળી શકે.
-
અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર કાબૂ: જો તમને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય, તો તેને નિયંત્રણમાં રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેની સીધી અસર આંખોના નાની રક્તવાહિનીઓ પર પડે છે.
આંખોની ઉત્તમ તંદુરસ્તી માટે કેવો આહાર લેવો?
આંખોને અંદરથી પોષણ પૂરું પાડવા માટે તમારા ભોજનમાં હેલ્ધી ચીજોનો સમાવેશ કરવો જોઈએ,
-
પૌષ્ટિક ખોરાક: આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, શક્કરિયા, સંત્રા, જામફળ, બદામ અને અખરોટ જેવી વસ્તુઓ અચૂક સામેલ કરો.
-
મહત્વના પોષક તત્વો: આ ખોરાકમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, ઓમેગા-3 ફેટી એસિડ, લ્યુટીન અને જિયાક્સેન્થિન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે, જે નેત્રમણિ અને રેટિના માટે વરદાનરૂપ સાબિત થાય છે.
-
ભરપૂર પાણી પીવો: શરીર અને આંખોમાં હાઇડ્રેશન જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે, જેથી આંખોમાં ડ્રાયનેસ (શુષ્કતા) ન થાય અને તે વધુ સારી રીતે કાર્ય કરી શકે.
કયા લક્ષણોને ક્યારેય અવગણવા ના જોઈએ?
જો તમને અચાનક ધૂંધળું દેખાવા લાગે, આંખોમાં તીવ્ર દુખાવો ઉપડે, સતત લાલાશ કે સોજો રહે, પ્રકાશની આસપાસ ચમક કે વલયો દેખાય, આંખોની સામે કાળા ધાબા અથવા દોરા જેવા નિશાન તરતા દેખાય કે અચાનક દ્રષ્ટિ નબળી પડી જતી લાગે, તો આ ચેતવણીના સંકેતો છે.

