Site icon Revoi.in

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ ચૂંટણીપંચ આજે લઈ શકે છે મહત્વનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગર શહેરમાં તા. 18મી એપ્રિલના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. રાજકીયપક્ષો દ્વારા અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય મહાનુભાવોએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકહિતમાં કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા માટે ચૂંટણીપંચને રજૂઆત કરી છે. દરમિયાન ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી અંગે ચૂંટણીપંચ દ્વારા આજે નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. મનપાની ચૂંટણી એકાદ મહિનો પાછળ ઠેલવવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ સહિતના આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 20મી એપ્રિલના રોજ મત ગણતરીની તારીખ નક્કી કરવામાં આવી છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જો કે, કોરોનાના કેસ સતત વધતા હોવાથી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણી મોકુફ રાખવા માટે ચૂંટણીપંચને વિનંતી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ચૂંટણીપંચને પત્ર લખીને લોકહિતમાં ચૂંટણી મોકુફ રાખવા માટે વિનંતી કરી છે. દરમિયાન આજ સાંજ સુધીમાં આ અંગે ચૂંટણીપંચ દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. ચૂંટણી એકાદ મહિનો પાછળ ધકેલવામાં આવે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.