Site icon Revoi.in

અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણાની આશાએ સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં તેજીનો ચમકારો

Social Share

મુંબઈ, 15 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવમાં નરમાશ આવવાની શક્યતાને પગલે આજે ભારતીય બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણાના સંકેતો મળતા રોકાણકારોએ ‘વેઇટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે, જેને કારણે બજારમાં મોટી વધઘટ અટકી છે. બુધવારે વહેલી સવારે એમસીએક્સ પર ગોલ્ડ મે ફ્યુચર્સમાં માત્ર 0.02 ટકાનોનો નજીવો વધારો નોંધાયો હતો અને ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,305 પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક બજારમાં પણ સોનું પ્રતિ ઔંસ 4,850 ડોલરની સપાટી આસપાસ સ્થિર રહ્યું હતું.

બજારના વિશ્લેષકોના મતે સોના માટે અત્યારે મિશ્ર સંકેતો છે કે, જો ભાવ રૂ. 1,55,000 ની સપાટી વટાવશે, તો તે વધીને રૂ. 1,57,000 થી રૂ. 1,58,000 સુધી પહોંચી શકે છે. પરંતુ જો સોનું રૂ. 1,54,000 થી નીચે સરકશે, તો ભાવ ઘટીને રૂ. 1,50,000 સુધી પહોંચવાની પણ શક્યતા છે.

સોનાની સરખામણીએ ચાંદીમાં આજે વધુ લેવાલી જોવા મળી હતી.એમસીએક્સ પર ચાંદીના મે ફ્યુચર્સમાં 0.83 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે ભાવ પ્રતિ કિલો રૂ. 2,54,842 પર પહોંચ્યા હતા. બજારના જાણકારો મુજબ, જો ચાંદી રૂ. 2,60,000 થી રૂ. 2,63,000 નું રેઝિસ્ટન્સ લેવલ પાર કરશે, તો તે ટૂંક સમયમાં રૂ. 2,70,000 ની ઐતિહાસિક સપાટીને સ્પર્શી શકે છે.

છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા અમેરિકા-ઈરાન વિવાદમાં હવે સમાધાનના અણસાર મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી બે દિવસમાં મંત્રણા શરૂ થવાની આશા વ્યક્ત કરી છે. આ હકારાત્મક સમાચારને પગલે વૈશ્વિક ઉર્જા પુરવઠા પરનું સંકટ ઓછું થયું છે અને મોંઘવારી વધવાની ચિંતામાં પણ રાહત મળતા બુલિયન માર્કેટમાં ગભરાટભરી વેચવાલી અટકી છે.

આ પણ વાંચોઃ અંદામાન સમુદ્રમાં મોટી દુર્ઘટના: શરણાર્થીઓ ભરેલી બોટ પલટી, 250થી વધુ લોકો લાપતા

Exit mobile version