Site icon Revoi.in

ગુજરાતઃ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ દરરોજ અંદાજે 50 હજારથી વધુ શ્રમિકોને ભોજનનો લાભ મળશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રી‌મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા વધુ કુલ-152 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. તેમ,પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-2017થી બાંધકામ શ્રમિકોને રૂ. 5/- ના નજીવા દરે ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કાર્યરત છે. આ યોજના હેઠળ શ્રમિકોને ભોજનમાં કઠોળ, શાક, રોટલી,ગોળ, અથાણું, મીઠાઈમાં એકવાર સુખડી, શીરો વગેરે તેમજ ભાત પીરસવામાં આવે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ-2022માં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કુલ-22 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં 118 ભોજન વિતરણ કેન્દ્રો કડીયાનાકા પર કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ઓક્ટોબર 2023 સુધીમાં ૫૨ લાખથી વધુ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે જે અંતર્ગત વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં કુલ રૂ. 23 કરોડથી વધુનો ખર્ચ થયો છે.

મંત્રીએ કહ્યું હતું કે,આગામી સમયમાં શરૂ થનાર નવા ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 49, સુરત-22, જામનગર -10, વડોદરા- 9, ગાંધીનગર- 8, પાટણ-7, નવસારી અને મોરબીમાં 6-6, બનાસકાંઠા અને રાજકોટમાં 5-5, વલસાડ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણામાં 4-4, ભરૂચ -3 તેમજ ભાવનગરમાં- 2 એમ કુલ -152નો સમાવેશ થાય છે. જેનો દૈનિક 50 હજાર કરતાં વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે તેમ, પ્રવક્તા મંત્રીએ વિગતો આપતાં કહ્યું હતું.