અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર વધારે સાબદી બની છે અને સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તથા પીડિતોની સારવારને લઈને ચાર સિનિયર સચિવોને જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસ વધતા આ શહેરોમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણ મેળવવા ચાર સિનિયર સચિવોને જવાબદારી સોંપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ મિલીન્દ તોરવણેને વડોદરા, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર એન.થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. રાજીવ ગુપ્તા લાંબા સમયથી અમદાવાદમાં કોરોનાને લઈને કામગીરી કરી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને કાબુ માં લેવા સરકારે પ્રયત્નો વધારી દીધા છે અને લોકો ને કોરોના ગાઇડલાઈન નો અમલ કરાવવા માટે અપીલ કરાઈ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ચારેય શહેરમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કર્યો છે. તેમજ સરકારની સૂચના અનુસાર ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરતમાં સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાર્ડન અને જ્યાં લોકોની વધારે અવર-જવર હોય તેવી જગ્યાઓ પણ બંધ કરવામાં આવી છે.