નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના મતદાન વિસ્તારમાં સ્થાનિક પાર્ટીના નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરીને સાંસદના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે પોતાનું રાજીનામું ટીએમસીના ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોંપ્યું છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં મિમી ચક્રવર્તીએ જાદવપુર બેઠક ઉપરથી જીત મેળવી હતી.
સાંસદ મિમી ચ્કરવર્તીએ જણાવ્યું હતું કે, મે જાવદપુર માટે એક સ્વપ્ન જોયું હતું પરંતુ મારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કોઈ વ્યક્તિ ફિલ્મ પૃષ્ઠભૂમિથી આવે છે તો તેને એમ કહીને બદનામ કરવામાં આવે છે કે, તે કામ કરતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું રાજકારણને ઉંડાણપૂર્વક સમજતી નથી, જ્યારે હું લોકો પાસે પહોંચતી તો મને લાગ્યું કે આ અનેક લોકોને પસંદ નહીં આવ્યું હતું. રાજકારણ મારા માટે નથી. જ્યારે આપ કોઈની મદદ કરો છો તો તમારે રાજકારણમાં કોઈને પ્રોત્સાહન આપવું જોઈએ. એક રાજનેતાની સાથે અભિનેત્રી તરીકે ફિલ્મોમાં પણ કામ કરું છું. જો તમે રાજકારણમાં જોડાઓ છો, તો તમે કામ કરો છો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવે છે.
મિમી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, મે મારા મુદ્દાઓને લઈને સીએમ મમતા બેનર્જી સાથે વાત કરી છે. મે વર્ષ 2022માં પણ તેમને સંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે, જે તે સમયે તેને નામંજુર કરવામાં આવ્યું હતું.