Site icon Revoi.in

ભાવનગરમાં વેપારીઓએ માસ્કના દંડથી બચવા રાખ્યો બાતમીદારઃ મનપાની ટીમ ઉપર રખાતી હતી નજર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર જીવનનો એક ભાગ બની ચુક્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનારને ઝડપી લેઈને તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે. દરમિયાન ભાવનગરના વેપારીઓએ માસ્કના દંડથી વચવા માટે નવી તરકીબ અજમાવી હતી. વેપારીઓએ એક બાતમીદાર રાખ્યો હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બાતમીદાર મનપાની ટીમ ઉપર નજર રાખતો હતો એટલું જ નહીં તે બાતમી માટે એક દુકાનદાર દ્વારા બાતમીદારને રૂ. 25 ચુકવવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

એક રિપોર્ટ અનુસાર કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા માસ્ક પહેરવા અને સામાજીક અંતરનું પાલન કરવા જનતાને અપીલ કરાઈ છે. તેમજ તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન ભાવનગરમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ માસ્ક ન પહેરનારા લોકોની પાસેથી દંડની વસૂલાત કરવા માટે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં અધિકારીઓ જે જગ્યા પર ચેકિંગ કરવા જાય ત્યાં મોટાભાગના લોકો માસ્ક પહેરેલા જોવા મળતા હતા. તેથી માત્ર 8થી 10 લોકોને જ અધિકારીઓ દંડ કરી શકતા હતા. મનપાની તપાસમાં વેપારીઓએ બાતમીદાર રાખ્યો હોવાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

ચેકિંગ ડ્રાઈવના કર્મચારી રાજેશ મંડળીના જણાવ્યા અનસાર દુકાનદારોને મજૂર બાતમી આપતો હોવાનું અમારા ધ્યાન પર આવ્યું હતું. અમે ચેકિંગમાં હતા એ સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ દુકાનોની આગળ જઈને મેસેજ આપતો હતો. એટલે અમે આ વ્યક્તિને રોકીને આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિ પૈસાની લાલચમાં આવું કામ કરતો હતો. તેને દુકાનદારો દ્વારા માસ્કના ડ્રાઈવની જાણ કરવા બદલ 25 રૂપિયા આપવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.