Site icon Revoi.in

LOKSABHA ELECTION: શું મુસ્લિમ લીગના કારણે રાહુલ ગાંધી વાયનાડને કહી રહ્યા છે બાય-બાય?

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. પરંતુ સંભાવના છે કે તેઓ આ વખતે કેરળના સ્થાને દક્ષિણ ભારતના કોઈ એક રાજ્ય તેલંગાણા અથવા કર્ણાટકથી એક બેઠક પર ચૂંટણી લડે અને બીજી બેઠક ઉત્તરપ્રદેશની હોઈ શકે છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકારો છે અને તેથી આ બંને રાજ્યોમાંથી કોઈ એક સુરક્ષિત બેઠક રાહુલ ગાંધી માટે નક્કી થઈ શકે છે. આ સિવાય હિંદી બેલ્ટમાં કોઈ ખોટો રાજકીય સંદેશ જાય નહીં તેના માટે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની કોઈ એક બેઠક પરથી પણ ચૂંટણી લડે તેવી શક્યતા છે. પરંતુ આ બેઠક કઈ હોઈ શકે, રાયબરેલી, અમેઠી કે અન્ય કોઈ તેને લઈને પણ ગણગણાટ ચાલુ છે.

વાયનાડ બેઠક પર મુસ્લિમ લીગના દાવાની ચર્ચા

કેરળની વાયનાડ બેઠક છોડવાની અટકળો પાછળ અહીં ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના ઉમેદવાર ઉતારવાના સંકેતને કારણે મામલો ફસાયો છે. મુસ્લિમ લીગ કેરળમાં કોંગ્રેસની આગેવાનીવાળા યુડીએફમાં તેની ભરોસાપાત્ર સહયોગી છે.

જાણકારી મુજબ, આ વખતે કોંગ્રેસ કેરળમાં 2ના સ્થાને 3 બેઠકો પર ચૂંટણી લડવાનું દબાણ બનાવી રહી છે. તેમાં ત્રીજી સીટ વાયનાડની જ ગણાવાય રહી છે. જો કે મુસ્લિમ લીગને અહીં મોટાભાગે મુસ્લિમ વોટર્સનું સમર્થન પ્રાપ્ત છે.

વાયનાડમાં મુસ્લિમ વસ્તીનો રાજકીય પ્રભાવ-

2011ના સેન્સસ મુજબ, વાયનાડમાં લગભગ 29 ટકા મુસ્લિમ વસ્તી છે. આ કારણ છે કે મુસ્લિમ લીગ આ વખતે કોંગ્રેસ સમક્ષ આ બેઠક પર દાવેદારી દર્શાવી રહી છે. 2019માં વાયનાડ બેઠકથી રાહુલ ગાંધી 4 લાખ 31 હજારથી વધુ વોટથી ચૂંટણી જીત્યા હતા.

સીપીઆઈએ એની રાજાને વાયનાડથી ઉતાર્યા-

બીજી તરફ વાયનાડથી આ વખતે સીપીઆઈએ પાર્ટી મહાસચિવ ડી. રાજાના પત્ની અને પાર્ટીના વરિષ્ઠ નેતા એની રાજાને ઉતાર્યા છે. આ બેઠક પર સીપીઆઈ હંમેશા ચૂંટણી લડતી આવી છે. તેવામાં રાહુલ ગાંધીનું આ બેઠક પરથી ચૂંટણી લડવું ઈન્ડિયા બ્લોક માટે સારો સંદેશ માનવામાં આવી રહ્યું નથી.

ઈન્ડિયા બ્લોકની છબીનો પણ સવાલ

અસલમાં કોંગ્રેસ, સીપીઆઈ અને મુસ્લિમ લીગ ત્રણેય ઈન્ડિયા બ્લોકમાં સામેલ છે. તેવામાં સીપીઆઈના મોટા નેતા અને કોંગ્રેસના મોટા નેતા સામસામે હોવાથી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનની છબી પર અસર પડવાની આશંકા છે.

તેના કારણે પણ ચર્ચા ચાલી રહી છે કે રાહુલ આ વખતે કેરળના સ્થાને દક્ષિણના કોઈ અન્ય સુરક્ષિત રાજ્યનો વિકલ્પ શોધી શકે છે.

સીપીઆઈએ કોંગ્રેસને પુછયો રાજકીય લોજિકવાળો સવાલ-

સીપીઆઈના રાજ્યસભાના સાંસદ બિનોય વિસ્વમે સવાલ કર્યો છે કે ઉત્તર ભારતને ભારતનું હોટબેડ માનવામાં આવે છે. જ્યાંથી મોટાભાગના સાંસદ ચૂંટાયને સંસદમાં પહોંચે છે. જ્યાં ભાજપ જેવા પાવરફુલ ફોર્સ સામે લડવાનું છે. આ સચ્ચાઈને ભુલાવીને કોંગ્રેસનું ભારતના દક્ષિણમાં આવેલા કેરળમાં આવવાનું રાજકીય લોજિક શું છે, જ્યાં માત્ર 20 બેઠકો છે.

વાયનાડથી રાહુલ ગાંધી લડશે તો ભાજપને થશે ફાયદો- સીપીઆઈ

તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે કોંગ્રેસનો મુખ્ય દુશ્મન કોણ છે, આરએસએસની આગેવાનીવાળું ભાજપ અથવા લેફ્ટ? તેમના પ્રમાણે, તમામ જાણે છે કે ભાજપ કેરળમાં જીતી નહીં શકે. માટે તેમણે ખરેખર ક્યાંથી લડવું જોઈએ?જ્યારે ગત ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ આવ્યા, તો ભાજપે ત્યારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ડરથી તેઓ કેરળ ભાગી આવ્યા. આ અભિયાનનું પરિણામ એ થયું કે કોંગ્રેસ આખા ઉત્તર ભારતમાં હારી ગઈ.

આમ તો રાહુલ ગાંધીના પરિવાર માટે કર્ણાટક પણ નવું નથી. તેમના માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધી સુધી અહીંથી ચૂંટણીમાં કિસ્મત અજમાવી ચુક્યા છે.

જ્યારે તેલંગાણાને કર્ણાટકથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. હાલમાં કોંગ્રેસે ત્યાં ભારત રાષ્ટ્ર સમિતિને હરાવીને સત્તા પ્રાપ્ત કરી છે. પાર્ટીને લાગે છે કે આજે પણ ત્યાં રાજકીય માહોલમાં ગત વર્ષ નવેમ્બર-ડિસેમ્બરથી વધારે ફેરફાર થયો નથી.