નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે પોલેન્ડના ઉપ વિદેશ મંત્રી અને સેક્રેટરી ઓફ સ્ટેટ વ્લાદિસ્લાવ બાર્ટોશેવ્સ્કી ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને તેમને યુક્રેનમાં ન્યૂક્લિયર ડિવાઈસનો ઉપયોગ કરતા અટકાવ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં બાર્ટોશેવ્સ્કીએ જણાવ્યું હતું કે, “ભારત સાથે અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે અને અમે વિશ્વમાં ભારતના વધતા કદને સ્વીકારીએ છીએ. વર્ષ 2022 ના અંતમાં જ્યારે સ્થિતિ ગંભીર હતી, ત્યારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે મધ્યસ્થી કરી હતી અને તેમને યુક્રેનમાં ટેક્ટિકલ ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ કરતા રોક્યા હતા.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત વિશ્વ શાંતિ માટે હંમેશા હકારાત્મક ભૂમિકા ભજવતું આવ્યું છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત અને પોલેન્ડ માત્ર વ્યૂહાત્મક ભાગીદારો જ નહીં, પણ ગાઢ મિત્રો પણ છે. બંને દેશો હવે રક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા જઈ રહ્યા છે. જેમાં હથિયારોના ઉત્પાદન માટે સંયુક્ત સાહસો શરૂ કરવાની યોજના, સરકારી, સૈન્ય અને સંરક્ષણ ઉદ્યોગ એમ ત્રણેય સ્તરે બેઠકો યોજવા માટે સમજૂતીનો સમાવેશ થાય છે. પોલેન્ડ પાસે સંરક્ષણ પાછળ ખર્ચ કરવા માટે 44 બિલિયન યુરો જેટલું માતબર ભંડોળ ઉપલબ્ધ છે, જેનો લાભ બંને દેશોના સહયોગને મળી શકે છે. બંને દેશો ટૂંક સમયમાં સાયબર સુરક્ષા સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કરશે.
ગયા મહિને વિદેશ મંત્રી એસ. જયશંકર અને પોલેન્ડના ઉપ વડાપ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી વચ્ચેની બેઠક બાદ સંબંધોમાં જે થોડી કડવાશ દેખાઈ હતી તેના પર પૂર્ણવિરામ મુકતા બાર્ટોશેવ્સ્કીએ કહ્યું, “મિત્રો વચ્ચે ચિંતાના વિષયો પર ખુલીને વાત કરવી સામાન્ય છે. ભારત અમારો વ્યૂહાત્મક મિત્ર છે અને અમે એકબીજાની ચિંતાઓને સમજીએ છીએ.”
આ પણ વાંચોઃ VIDEO : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મસ્જિદમાં બ્લાસ્ટ, અનેકના મોતની આશંકા

