નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: PM નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ મોરિશિયસના PM ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર ખાસ વાતચીત કરી હતી. આ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચેના દાયકાઓ જૂના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્ર (Indian Ocean Region) માં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવાના મુદ્દે ચર્ચા કરી હતી. બંને દેશો આ ક્ષેત્રમાં પોતાના સહિયારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા અને પરસ્પર સહયોગ વધારવા માટે સંમત થયા છે.
PM મોદીએ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત અને મોરિશિયસ વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી નથી, પરંતુ તે ‘ઐતિહાસિક અને લોકો-કેન્દ્રિત’ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગમાં થઈ રહેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને ‘સંવર્ધિત વ્યૂહાત્મક ભાગીદારી’ (Enhanced Strategic Partnership) ને આગળ વધારવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
PM મોદીએ ડૉ. રામગુલામને આવતા અઠવાડિયે ભારતમાં યોજાનારી ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇમ્પેક્ટ સમિટ’ માટે નિમંત્રણ પાઠવ્યું છે. PM મોદીએ જણાવ્યું હતું કે, તેઓ આ સમિટમાં મોરિશિયસના PMનું સ્વાગત કરવા આતુર છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે ટેકનોલોજી અને નવા યુગના ક્ષેત્રોમાં પણ સહયોગ વધવાની શક્યતા છે.
વધુ વાંચોઃ હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચાર શાંત, ગુરુવારે મતદાન યોજાશે

