Site icon Revoi.in

આતંકવાદી સંગઠનોના નેતાઓ માટે કોઈ લાઈફ ઈન્સ્પોરકન્સ નથીઃ પીએમ નેતન્યાહૂ

Social Share

જેરુસલેમ, 13 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં દુશ્મન દેશોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ મધ્ય પૂર્વની સમગ્ર ભૂ-રાજકીય સ્થિતિ બદલવા માટે કટિબદ્ધ છે. નેતન્યાહૂએ આતંકવાદ પર પ્રહાર કરતા કહ્યું કે, “સુન્ની અને શિયા બંને પ્રકારના ચરમપંથીઓ સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો છે. આ સમસ્યા પોતાની મેળે ઉકેલાશે નહીં, અમારે તેના માટે મક્કમ પગલાં લેવા પડશે.” તેમણે ઈરાની શાસન પર પ્રહાર કરતા કહ્યું કે, ઈરાની જનતાના સહકાર વગર આ શાસનનો અંત લાવવો મુશ્કેલ છે, પરંતુ ઈઝરાયેલ ઈરાની જનતાને મદદ કરી રહ્યું છે.

લેબનાન સરકારને નિશાન બનાવતા નેતન્યાહૂએ કહ્યું કે, “લેબનાન સરકાર ‘આગ સાથે રમી રહી છે’. જો તેઓ હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર નહીં કરે અથવા તેને અંકુશમાં નહીં રાખે, તો ઈઝરાયેલ પોતે આ જવાબદારી નિભાવશે. હિઝબુલ્લાહે આની ભારે કિંમત ચૂકવવી પડશે.” જોકે, તેમણે સૈન્ય વ્યૂહરચના વિશે કોઈ ખુલાસો કર્યો ન હતો.

જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામૈનેઈ અને હિઝબુલ્લાહના નેતા નઈમ કાસિમ જેવા નેતાઓને ટાર્ગેટ કરશે? ત્યારે નેતન્યાહૂએ આક્રમક અંદાજમાં જવાબ આપતા કહ્યું, “હું કોઈપણ આતંકવાદી સંગઠનના નેતાઓ માટે જીવન વીમો લેવાનો નથી. તેમની જિંદગીની કોઈ ગેરંટી નથી.”

નેતન્યાહૂએ આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું કે, “મેં વચન આપ્યું હતું કે અમે મિડલ ઈસ્ટને સંપૂર્ણપણે બદલી નાખીશું. આજે અમારા મિત્રો અને દુશ્મનો પણ સ્વીકારી રહ્યા છે કે ઈઝરાયેલ પહેલા કરતા અનેક ગણું વધુ શક્તિશાળી બન્યું છે. ઈરાની શાસન જો સત્તામાંથી દૂર થશે, તો મધ્ય પૂર્વની મોટાભાગની સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જશે.” આ નિવેદન બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબતે ચર્ચાઓ તેજ બની છે.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનના વિવિધ શહેરોમાં પાકિસ્તાનને ફરી કર્યાં હવાઈ હુમલા, 4 નાગરિકોના મોત

Exit mobile version