Site icon Revoi.in

માત્ર કેલ્શિયમ નહીં, વિટામિન-D ની ઉણપથી હાડકાં થઈ જશે પોલા

Social Share

આજના સમયમાં નાની ઉંમરના યુવાનોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ કરોડરજ્જુની નબળાઈ અને સાંધાના દુખાવાની ફરિયાદ કરતા જોવા મળે છે. જ્યારે સ્થિતિ ગંભીર બને છે ત્યારે ગઠિયા (Gout), ઓસ્ટિયોપોરોસિસ, અને આર્થરાઈટિસ જેવા રોગો ઘર કરી જાય છે. મોટાભાગે લોકો માને છે કે માત્ર કેલ્શિયમની ઉણપથી જ હાડકાં નબળા પડે છે, પરંતુ શું તમે જાણો છો કે નાનપણથી દૂધ-દહીંનું સેવન કરનારા લોકોને પણ કેમ સાંધાના દુખાવા થાય છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાડકાંની મજબૂતી માટે માત્ર કેલ્શિયમ પૂરતું નથી. શરીરમાં કેલ્શિયમનું શોષણ ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં વિટામિન-D પૂરતી માત્રામાં હોય. જો શરીરમાં વિટામિન-D ની ઉણપ હોય, તો તમે ગમે તેટલો સારો ખોરાક કે દવા લો, તેનું કેલ્શિયમ હાડકાં સુધી પહોંચતું નથી. વિટામિન-D કેલ્શિયમના શોષણની ક્ષમતાને 40 થી 50 ટકા સુધી વધારી દે છે.

આપણી કરોડરજ્જુ 32 નાના હાડકાં (મણકા) થી બનેલી છે, જે ‘સાઈનોવિયલ ફ્લુઈડ’ નામના પ્રવાહી દ્વારા જોડાયેલા હોય છે. વિટામિન-D ની ઉણપથી હાડકાં નરમ બને છે અને સાંધાનું આ પ્રવાહી ઘટવા લાગે છે, જેને કારણે હાડકાં પરસ્પર ઘસાવા લાગે છે. આ જ કારણ છે કે અંતે ઘૂંટણના ઓપરેશન કે સર્જરીની નોબત આવે છે.

વિટામિન-D માત્ર હાડકાં જ નહીં, પણ સ્નાયુઓની અકડન પણ દૂર કરે છે. તે ગરદન અને ખભાના દુખાવામાં રાહત આપે છે. વિટામિન-D ના અભાવે હાડકાં ક્ષીણ થવા લાગે છે, જેને મેડિકલ ભાષામાં બોન ડેન્સિટી ઓછી થવી કહેવાય છે. ડોક્ટરો સલાહ આપે છે કે સપ્લીમેન્ટ્સ કરતા કુદરતી રીતે પોષક તત્વો મેળવવા વધુ હિતાવહ છે. કેલ્શિયમ માટે દૂધ, દહીં, પનીર, ઈંડા, બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, ચણા, સત્તુ અને રાગીનો ખોરાકમાં સમાવેશ કરો. જ્યારે વિટામિન-D માટે સવારનો કુમળો તડકો સૌથી રામબાણ ઈલાજ છે. દિવસમાં થોડો સમય સૂર્યપ્રકાશમાં વિતાવવો અનિવાર્ય છે.

 

Exit mobile version