Site icon Revoi.in

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆતમાં જ જળાશયોની આ સ્થિતિ છે.

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  5મી એપ્રિલ સુધીના રાજ્યના જળાશયોમાં કુલ 52.93 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 16 જળાશયોમાં 16.16 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 68.03 ટકા, કચ્છના 20 જળાશયોમાં 23.22 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.39 ટકા પાણીનો જથ્થો છે. ઉપરાંત સરદાર સરોવર ડેમમાં હાલ 50.27 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્થિતિ હાલની દ્રષ્ટિએ સારી કહી શકાય. પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી સમયમાં પાણીની તીવ્ર તંગી ઊભી થઈ શકે છે. ઉત્તર ગુજરાના બનાસકાંઠાના જળાશયોમાં તો માત્ર 7.09 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે સાબરકાંઠામાં 14.70 ટકા, અરવલ્લીમાં 18.97 ટકા અને મહેસાણામાં 21.44 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 જળાશયોમાં પણ સ્થિતિ વધુ સારી ન કહી શકાય.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જોકે બીજી તરફ રાજ્યના 206માંથી 38 ડેમ એવા છે જેમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. જેમાના 13 ડેમોમાં 1 ટકાથી પણ ઓછું પાણી છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના જળાશયોની આ સ્થિતિ છે, ત્યારે એપ્રિલ બાદ મે તથા જૂન મહિનામાં આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.