Site icon Revoi.in

પહેલગામ હુમલો: NIAની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં હાફિઝ સઈદને બનાવાયો આરોપી

Social Share

નવી દિલ્હી, 6 જુલાઈ 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કેસમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીએ જમ્મુની સ્પેશિયલ એનઆઈએએ કોર્ટમાં દાખલ કરેલી પોતાની પૂરક ચાર્જશીટમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી) ના વડા હાફિઝ સઈદને મુખ્ય આરોપી બનાવ્યો છે. આ તપાસમાં એજન્સીએ હુમલાના ષડયંત્ર અને આતંકી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ગુનેગારો વિરુદ્ધ પણ કોર્ટ સમક્ષ વધારાના મજબૂત પુરાવા રજૂ કર્યા છે. આતંક વિરોધી એજન્સીએ ચાર્જશીટમાં સ્પષ્ટ કર્યું છે કે હાફિઝ સઈદ વ્યક્તિગત રીતે અને લશ્કરના સક્રિય પ્રોક્સી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (ટીઆરએફ) ના ચીફ તરીકે ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક ભીષણ આતંકી હુમલો થયો હતો. આ ઘટનાના બરાબર 15 દિવસ બાદ, 7 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓ વિરુદ્ધ એક મોટું સૈન્ય અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને 9 આતંકી ઠેકાણાઓને સંપૂર્ણપણે તબાહ કરી દીધા હતા, જેમાં અનેક કુખ્યાત આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ સર્જિકલ એક્શન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છેલ્લા બે દાયકામાં સૌથી ગંભીર સ્તરે પહોંચી ગયા હતા. પાકિસ્તાન દ્વારા ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ મનસૂબા નાકામ કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના 4 સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખ્યા હતા. ભારતના આ પ્રચંડ પ્રહારથી ગભરાઈને આખરે પાકિસ્તાને ભારત સમક્ષ સીઝફાયર (યુદ્ધવિરામ) નો પ્રસ્તાવ મૂકવો પડ્યો હતો, જે હાલ બંને દેશોની પરસ્પર ચર્ચા બાદ લાગુ કરવામાં આવ્યો છે.

Exit mobile version